વ્યાજખોર સામે ચાલતી ઝુંબેશને પગલે અમદાવાદમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં ૮૦ હજારના બદલામાં ૬.૫૦ લાખ રૂપિયા વ્યાજ સાથે માગતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વ્યાજખોરોએ ફરિયાદી મહિલાના પતિનું અપહરણ કરીને માર માર્યો
અમદાવાદના અમરાઇવાડી પોલીસે ગુનો દાખલ કર્યો
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં વ્યાજખોરનો આતંક સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ૮૦ હજાર રૂપિયાના બદલામાં વ્યાજખોરે સાડા છ લાખ રૂપિયા માગ્યા હતા. રૂપિયા ન આપતાં વ્યાજખોરે મહિલાના પતિનું અપહરણ કરીને માર માર્યો હતો.
૮૦ હજાર રૂપિયા દસ ટકાના વ્યાજ પર લીધા
અમરાઇવાડી વિસ્તારમાં આવેલા શિવનંદનગરમાં રહેતાં બબિતાબહેન ઠાકુરે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં રણજિત રાજપૂત અને યોગેશ કોષ્ટી નામના વ્યાજખોર વિરુદ્ધ અપહરણ તેમજ મારામારીની ફરિયાદ કરી છે. બબિતાબહેનની નણંદનાં લગ્ન હોવાથી તેમણે અઢી વર્ષ પહેલાં રણજિત રાજપૂત નામના વ્યાજખોર પાસેથી ૮૦ હજાર રૂપિયા દસ ટકાના વ્યાજ પર લીધા હતા. બબિતાબહેન દર મહિને સમયસર વ્યાજ આપતાં હતાં. જોકે લોકડાઉન આવી જતાં વ્યાજની રકમ આપવાનું બંધ કરી દીધું હતું. વ્યાજની રકમ નહીં મળતાં રણજિત અવારનવાર બબિતાબહેનના ઘરે જઇને બબાલ કરતો હતો.
અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં રણજિત અને યોગેશ વિરુદ્ધ ફરિયાદ
રણજિત લોકડાઉન સમયે ૨૫ હજાર પણ લઇને આવ્યો હતો. રણજિતની પઠાણી ઉઘરાણીથી કંટાળીને બબિતાબહેન તેમના પતિ અને બાળકો સાથે મધ્યપ્રદેશ જતાં રહ્યાં હતાં.થોડા સમય પછી બબિતાબહેન પરિવાર સાથે અમદાવાદ પોતાના ઘરે આવ્યાં તો રણજિતે તેમના ઘરને તેનું તાળું માર્યુ હતું. જેથી તે રણજિતની ઓફિસે ગયાં હતાં, જ્યાં તેણે સાડા છ લાખ રૂપિયા વ્યાજ સાથેની રકમ માગી હતી. બબિતાબહેન પરિવાર સાથે ઘરનું તાળુ તોડીને રહેવા લાગ્યાં હતાં ત્યારે રણજિત અને યોગશ કોષ્ટી ત્યાં આવ્યા હતા અને પતિને મારી નાખવાની તેમજ બાળકને બિલ્ડિંગમાંથી ફેંકી દેવાની ધમકી આપી હતી.થોડા દિવસ પહેલાં રણજિત અને યોગેશ બબિતાબહેનના ઘરે આવ્યા હતા અને તેમના પતિ રાજેશભાઇને લઇ ગયા હતા. જ્યાં તેમને ઢોર માર માર્યો હતો. ઇજાગ્રસ્ત રાજેશભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બબિતાબહેને અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં રણજિત અને યોગેશ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.