ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે એવામાં લોકો દ્વારા કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે ત્યારે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને રાજ્ય સરકારનો ઉધડો લીધો છે.
80 ટકા લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યા નથી : SC
સરકાર તરફથી ખાલી SOP બનાવી દેવામાં આવી : SC
કેન્દ્ર કે રાજ્ય સરકાર ચિંતિત નથી લાગી રહી નથી: SC
સર્વોચ્ચ અદાલતનો ઠપકો
ભારતમાં સતત વધતા જતા કોરોના વાયરસના કેસ અને સામે લોકો દ્વારા કરવામાં આવી રહેલ બેદરકારી પર દેશની સર્વોચ્ચ અદાલતે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે નિયમોની અનદેખી પર નારાજગી વ્યકત કરી. કોર્ટે કહ્યું કે દેશમાં કેટલીય જગ્યાઓ પર જોવામાં આવે છે કે કેટલાય લોકો માસ્ક પહેરવા અને સોશ્યલ ડીસ્ટન્સિંગનું પાલન નથી કરતા. 80 ટકા લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યા નથી અને જે કરી રહ્યા છે તે માત્ર જડબા પર માસ્ક લટકાવીને ફરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારોને કોઈ ચિંતા નથી, સરકાર તરફથી ખાલી SOP બનાવી દેવામાં આવ્યા છે પણ તેનું પાલન થાય તેની કોઈને પડી નથી અને તેના કારણે પરિસ્થિતિ વણસી રહી છે.
કોર્ટે કહ્યું કે કોરોના વાયરસના કારણે હાલત બગડી રહ્યા છે અને સામે કેન્દ્ર કે રાજ્ય સરકાર ચિંતિત નથી લાગી રહી નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કોરોના વાયરસને લઈને કેટલાક રાજ્યોએ કડક થવું પડશે, દેશના દસ રાજ્યોમાં જ કોરોના વાયરસના 70 ટકા કેસ સામે આવ્યા છે.
દિલ્હીમાં સરકારો એક બીજા પર કર્યું દોષારોપણ
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે દિલ્હીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સામસામે આવી ગઈ છે અને કોરોના વાયરસને લઈને એકબીજા પર આરોપો ઢોળી રહ્યા છે. કેન્દ્રએ પોતાના જવાબમાં કેજરીવાલ સરકાર પર તહેવારો અને શિયાળામાં કોરોનાના નિયમોનું પાલન કરાવવામાં શિથીલતા દર્શાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કેન્દ્રએ કહ્યું કે દિલ્હી સરકાર દ્વારા ઉપાયોને લાગૂ કરવામાં વિફળતાનાં કારણે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ ગયું.
ગુજરાતમાં અવારનવાર આગની ઘટનાઓના કારણે કોરોના વાયરસની સામે ઝઝૂમી રહેલા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગ બાદ પણ મોટા શહેરોની હોસ્પિટલમાં એજ બેદરકારી કરવામાં આવે છે. રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગ બાદ દોડધામ મચી છે જેમાં પાંચ નિર્દોષ મોતને ભેટી ગયા.
જસ્ટિસ એમ.આર.શાહે કહ્યું કે રાજકોટની આગની ઘટના ખૂબ જ ગંભીર
રાજકોટની આ ઘટનાના પડઘા સર્વોચ્ચ અદાલતમાં પણ પડ્યા છે. સર્વોચ્ચ અદાલતે રાજકોટની આ ઘટનાને સુઓમોટો તરીકે લીધી અને સરકારને ખખડાવીને જવાબ માંગ્યા. જસ્ટિસ ભુષણે પૂછ્યું કે આગ બુઝાવવા માટે હોસ્પિટલમાં કેમ કોઈ વ્યવસ્થા નથી? કોર્ટે એમ પણ કહ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં કોરોના વાયરસ મુદ્દે સુનાવણી થઇ રહી છે અને એવામાં જ્યારે ગુજરાતની હોસ્પિટલો કોરોના અને આગથી પણ દર્દીઓને બચાવી નથી શકતી ત્યારે કોર્ટે રૂપાણી સરકારનો ઉધડો લેતા કહ્યું કે ગુજરાતમાં આ પહેલી ઘટના નથી એટલે ગુજરાત સરકાર જવાબ આપે. કોર્ટે કહ્યું કે ઘટનામાં જે લોકો જવાબદાર છે તેની ધરપકડ થવી જોઈએ.