દેશની રિસર્ચ એજન્સી ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચનો દાવો છે કે મુંબઈના 80 ટકા લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે તેથી ત્રીજી લહેરની કોઈ અસર નહીં થાય.
TIFR ના રિસર્ચનું તારણ
મુંબઈના 80 ટકા લોકો સંક્રમિત
ત્રીજી લહેરની કોઈ અસર નહીં થાય
દેશની પ્રખ્યાત રિસર્ચ એજન્સી ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR)ના વૈજ્ઞાનિકોએ તેમના રિપોર્ટમાં આ શક્યતા રજૂ કરી છે. સંક્રમણના આંકડાઓ અને અત્યાર સુધીના સીરો સર્વેના એક રિપોર્ટના આધાર પર TIFRના એનાલિસિસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે 1 જૂન સુધીમાં મુંબઈમાં અત્યાર સુધીમાં 80 ટકા લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 90 ટકા સ્લમ અને 70 ટકા સારા વિસ્તારના છે.
મુંબઈમાં હર્ડ ઈમ્યુનિટી વધી ગઈ: TIFR ના રિપોર્ટમાં દાવો
TIFRના સ્ટડી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મુંબઈના મોટા ભાગના લોકો હર્ડ ઈમ્યુનિટી ધરાવે છે. તેથી જો ત્રીજી લહેર આવશે તો તે બીજી લહેર કરતાં વધારે જોખમી નહીં હોય. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, જે લોકો પહેલી લહેરમાં સંક્રમિત થયા હતા તેમની એન્ટિબોડિ ઓછી થઈ હોવાથી તેઓ ફરી સંક્રમિત થઈ શકે છે. બીજી લહેર દરમિયાન મુંબઈમાં એક દિવસમાં સૌથી વધુ સંક્રમિત કેસ 4 એપ્રિલે 11,163 સુધી પહોંચ્યા હતા જ્યારે દિલ્હી અને બેંગલુરુમાં તે 28,000 અને 25,000નો આંક જોવા મળ્યો હતો. દિલ્હી અને બેંગલુરુની સરખામણીએ મુંબઈમાં બીજી લહેરની અસર ઓછી જોવા મળી હતી.
સાવધાની રાખે અને વેક્સિનેશન ત્રીજી લહેરથી બચાવી શકે છે-ડોક્ટર ગુલેરિયા
AIIMS ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે જો લોકો સાવધાની રાખે અને વેક્સિનેશન સફળ રહે તો કોરોનાની ત્રીજી લહેરની ઓછી શક્યતા છે. દેશમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા વિશે ડૉ. ગુલેરિયાએ સલાહ આપી છે કે, દેશમાં ઘણાં વિસ્તારો એવા છે જ્યાં પોઝિટિવ રેટ વધારે છે અને તેને ફેલાતો રોકવા માટે આક્રમક રીતે ટક્કર આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, સંક્રમણના કેસ ઓછા થઈ રહ્યા છે પરંતુ અમુક એવા વિસ્તારોમાં જ્યાં સંક્રમણનો દર અત્યારે પણ વધારે છે. આપણે તે વિસ્તારોને હોટ સ્પોટ ના બનવા દેવા જોઈએ, જેનાથી અન્ય વિસ્તારોમાં પણ વાયરસ ફેલાઈ શકે છે.
ત્રીજી લહેર વિશે જાતજાતના દાવા
કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે તે વિશે નિષ્ણાતો અલગ અલગ દાવા કરાઈ રહ્યાં છે.
નીતિ આયોગના મેમ્બરે ડૉ. વીકે પોલે કહ્યું કે, ત્રીજી લહેર ક્યારે આવશે તે વિશે કોઈ સ્પષ્ટ તારીખ હાલ જણાવી શકાય એમ નથી. કોવિડ વર્કિંગ ગ્રૂપના ચીફ ડૉ. એન.કે. અરોરાએ 6-8 મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
એક સમયે દેશમાં દિવસના 4 લાખ કેસ આવતા હતા અને હવે 50,000 કેસ આવે છે. ધીમે ધીમે પ્રતિબંધો ઘટ્યા છે. જો આ સંજોગોમાં આપણે નિયમોનું પાલન યોગ્ય રીતે કરીએ તો કોરોનાની ત્રીજી લહેરને રોકી પણ શકાય છે.