ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ રાજકોટ પોલીસ બેડામાં ઉથલપાથલ
રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર કથિત તોડકાંડના આક્ષેપ સાથે ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. આ મામલે તપાસ સમિતિની નિમણૂંક કરાઈ છે અને તપાસ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી. આ વચ્ચે હવે પોલીસ કમિશનરે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 8 PIની આંતરિક બદલી કરી નાખી છે.
કોની થઇ આંતરિક બદલી?
રાજકોટના 8 PIની આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં એ ડિવિઝન પીઆઇ જોશીની SOGમાં બદલી, ગાંધીગ્રામ પીઆઇ વાળાની પીસીબીમાં બદલી, ભક્તિનગર પીઆઇ જે.ડી.ઝાલા ગાંધીગ્રામમાં બદલી, પ્રદ્યુમનનગર પીઆઇ ચાવડાની ભક્તિનગરમાં બદલી, સાઇબરક્રાઇમ પીઆઇ ફર્નાન્ડિઝની એ ડિવિઝનમાં બદલી, મહિલા પોલીસ સ્ટેશનન પીઆઇ જનકાંતની પ્રદ્યુમનનગરમાં બદલી, રિઝર્વ પીઆઇ ભાર્ગવ જનકાંતની કુવાડવામાં બદલી અને કુવાડવા પીઆઇ ચુડાસમાની રીડર શાખામાં બદલી કરવામાં આવી છે.
તોડકાંડના આક્ષેપ બાદ થયું હતું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું વિસર્જન
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ, રાજ્યના DGP આશિષ ભાટિયાએ રાજકોટના 2 સહીત રાજ્યના 39 PIની બદલી કરી હતી. તેની સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ શહેર SOGના તમામ 8 PSIની બદલી પણ કરી હતી. જેમાં PSI પી.એમ.ધાખડાની વડોદરા શહેર, વનરાજસિંહ જાડેજાની સુરત શહેર, એમ.એમ.ઝાલાની પશ્ચિમ રેલવે અમદાવાદ, એમ.વી.રબારી પશ્ચિમ રેલવે વડોદરા, પી.બી.જેબલીયાની વડોદરા શહેર, જે.એ.ખાચરની કચ્છ પશ્ચિમ ભુજ એ.એસ.અંસારીની વડોદરા ગ્રામ્ય અને તુષાર પંડ્યાની તાપી વ્યારા ખાતે બદલી કરવામાં આવી હતી. તો રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ રાજકોટ શહેરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર રોહિત રાવલની પદર ખર્ચે ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી હતી.
રાજકોટ ક્રાઈમબ્રાન્ચ... ક્રાઈમબ્રાન્ચ નહીં પરંતુ હવાલા બ્રાન્ચ છે. અહીં પોલીસ ગુનેગારોને પકડવા માટે નહીં પરંતુ હવાલા લઈ કમિશનના આધારે કરોડો રૂપિયાની કમાણી કરવા માટે છે. આવું અમે નહીં પરંતુ ખુદ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે આક્ષેપ કર્યા છે. કારણ કે, મહારાષ્ટ્રની જેમ હવે ગુજરાતમાં પણ પરમવિરસિંહ જેવા કમિશનરનો કેસ સામે આવ્યો છે. આ અધિકારી બીજા કોઈ નહીં પરંતુ રાજકોટના જ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ છે. જેઓ આમ જનતાને દબાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. હવે આ મુદ્દો રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચતા ગરમાયો છે.