ઉત્તરપ્રદેશના આગ્રામાં ઝેરી દવા પીવાને કારણે કુલ 8 લોકોના મોત થયા છે. બનાવને લઈને પ્રશાસન પણ દોડતું તઈ ગયું છે અને લોકોમાં રોષનો માહોલ ફેલાયેલો છે.
આગ્રામાં આવેલા 2 ગામમાં લઠ્ઠાકાંડ સર્જાયો
ઝેરી દારૂ પિવાથી કુલ 8 લોકોના મોત
લઠ્ઠાકાંડને કારણે પ્રશાસન થયું દોડતું
ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાનાં બે ગામ નગલા દેવરી અને ડૌકીમાં લઠ્ઠાકાંડ સર્જાતાં ખળભળાટ મચી ગયો છે. આ બંને ગામમાં ઝેરી શરાબ પીવાથી આઠ લોકોનાં મોત થયાં છે. અહેવાલો અનુસાર મૃતકોની સંખ્યા હજુ વધવાની દહેશત છે. તાજગંજના નગલા દેવરીમાં ચાર, ડૌકીના કૌલારા કલામાં ત્રણ અને બરકુલામાં ઝેરી શરાબ પીવાથી એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકોનાં પરિવારજનો અને ગ્રામીણોએ એવો આક્ષેપ કર્યો છે કે ઝેરી શરાબ પીવાથી મૃત્યુ થયાં છે.
પોલીસે 6 લોકોના મોતની પુષ્ટી કરી
જોકે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેમની જાણકારી અનુસાર છ લોકોનાં મોત થયાં છે. આમાંથી પાંચ લોકોના મૃતદેહોના પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યા છે. એસએસપી મુનિરાજજીએ તપાસ કરવાના આદેશ કર્યા છે.
પ્રશાસન જોઈ રહ્યું છે PM રિપોર્ટની રાહ
ઝેરી શરાબના મામલામાં પ્રસાસન પર બેદરકારીના ગંભીર આક્ષેપો થયા છે. એવું કહેવાય છે કે જિલ્લા પ્રશાસન અને એક્સાઈઝ વિભાગ આ લઠ્ઠાકાંડમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પ્રશાસન આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરવાના બદલે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. લોકોનો આક્ષેપ છે કે પ્રશાસન મૃત્યુ પાછળનાં અન્ય કારણો જણાવીને સમગ્ર મામલામાં ઢાંકપિછોડો કરી રહ્યું છે. એક્સાઈઝ ઓફિસર નિરેશ પલિયાની ભૂમિકા સામે સવાલો પણ ઊભા થયા છે.
દારૂની દુકાનો પોલીસે સીલ કરી
લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસે શરાબની ચાર દુકાનો સીલ કરી દીધી છે, જોકે પોલીસે આ મૃત્યુ ઝેરી શરાબ પીવાથી થયા હોવાના અહેવાલને હજુ સુધી સત્તાવાર સમર્થન આપ્યું નથી. આગ્રાના એસપી (રૂરલ) અશોક વેંકટે જણાવ્યું છે કે મોતનું સાચું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.
મૃતકોના પરિવારજનોએ કર્યા ગંભીર આક્ષેપ
ઉલ્લેખનીય થે કે સમગ્ર મામલે કૌલારા કલા ગામના રાધે (૪૨ વર્ષ) અને અનિલ (૩૪ વર્ષ), રામવીર (૪૦ વર્ષ) અને બારકુલા ગામના ગયાપ્રસાદ (૫૦ વર્ષ)નાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. અનિલના પિતા શ્રીનિવાસે એવો આક્ષેપ કર્યો છે કે તેમના પુત્ર અને ગામના અન્ય બે લોકોનાં મોત ગામની દુકાનમાંથી ખરીદેલી નકલી શરાબ પીવાથી થયાં છે.