નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે રાજપીપળના રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા છે. રસ્તાઓમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. નર્મદામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડતા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે. તો બીજી તરફ નદી-નાળા પણ છલકાયા છે.
નર્મદા જિલ્લાના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તાર ડેડીયાપાડા અને સાગબારામાં અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ થયો છે. આથી કરજણ ડેમમાં અને નદીમાં નવા નીર આવ્યા છે. લગભગ 70 હજાર જેટલી પાણીની આવક થતા કરજણ બંધના છ દરવાજા ખોલી 62 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે.
જેથી કરજણ નદી બે કાંઠે વહેતી થઇ હતી અને વહેતા કાંઠાના ખેતરોમાં પાણી પણ ભરાયા હતા. ઘણા સમય બાદ કરજણ નદી બે કાંઠે વહેતા રાજપીપળાના નગરજનો સરકારી ઓવારા ખાતે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા માટે ઉમટી પડ્યા હતા.
કરજણ નદીમાં 6 મજૂરો ફસાયા
તો આ તરફ રાજપીપળાની કરજણ નદી પર બ્રિજ બની રહ્યો છે. જેથી કરજણ નદીમાં અચાનક પાણી છોડવાથી 6થી 7 મજૂરો ફસાયા છે. હાલ તેઓ એક જેસીબી ઉપર બેઠા છે ને મદદની રાહ જોઈ રહ્યા છે ત્યારે તંત્રએ રેસ્ક્યુ માટે ટિમો મોકલી છે. આ રીતે તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
સરદાર સરોવરમાં સૌથી વધુ પાણીની આવક
સરદાર સરોવરમાં સૌથી વધુ પાણીની આવક થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી 83 હજાર 500 ક્યુસેક પાણીની આવક થઇ છે. પાણીની આવકના પગલે ડેમની જળસપાટીમાં 1.07 મીટરનો વધારો થયો છે. સરદાર સરોવરમાં પાણીની સપાટી 123.73 મીટર પહોંચી છે.
નર્મદાના 5 તાલુકામાં વરસાદ, જનજીવન પર થઈ અસર
નર્મદામાં શનિવારે ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. જિલ્લાના 5 તાલુકામાં વરસાદ પડતા જનજીવન પર અસર પડી છે. શનિવારે જિલ્લામાં 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજપીપળાના કાછીયાવાડ, સ્ટેશન રોડ, સત્યમ નગર સોસાયટી, રાજેન્દ્ર નગર સોસાયટીમાં ઘરો પાણી ઘુસ્યા હતા. ઘરોમાં પાણી ઘુસતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
રાજપીપળાના અનેક વિસ્તારમાં પાણી ભરાયા
રાજપીપળાના સફેદ ટાવર વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. વડીયા ગામમાં કેટલીક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. વડીયા ગામમાં સત્યમનગર, રામેશ્વરમ, સાંઇદર્શન, રોયલ ઇન સિટીમાં પાણી ભરાઇ ગયા છે. જેને લઇ લોકોને હાલાકી પડી રહી છે.