સુરતઃ દક્ષિણ ગુજરાતના વલસાડમાં મેઘસવારીએ કહેર મચાવી દીધી હતી.. ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.
નીચાણવાળા વિસ્તારો સતત બીજા દિવસે પણ પાણીમાં ગરકાવ રહ્યા હતા. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં પોતે કટીબદ્ધ હોવાનો દાવો કરતા તંત્રની પોલ ખુલી ગઈ હતી.
સબ સલામતના દાવા વચ્ચે તંત્રની ઘોરબેદરકારી સામે આવી હતી. મામલતદાર કચેરીમાં રેસ્ક્યુનો સામાન રઝળતી હાલતમાં જોવા મળ્યો હતો.
બીજી તરફ ધોધમાર વરસાદના કારણે પાલિકા રોડ પર આવેલી પોસ્ટઓફિસમાં પાણી ભરાયા હતા. જેથી પોસ્ટ ઓફિસને બંધ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે સૌરાષ્ટ્રના ગીર ગઢડા કોડીનાર અને સુતરાપાડામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો. ઉના તાલાલા અને વેરાવળમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. આ તરફ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા હતા.