રિટાયર બાદ તેઓ કતારની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા
કતારની રાજધાની દોહામાં ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને કેમ અટકાયતમાં લેવામાં આવ્યા? કતાર ઓથોરિટી તરફથી હજુ સુધી આ સંબંધમાં કોઈ જવાબ આપવામાં આવ્યો ન હોવાથી પરિવારના સભ્યો ખૂબ જ ચિંતિત જણાય છે. અટકાયત કરાયેલા લોકોમાં કમાન્ડર (નિવૃત્ત) પૂર્ણેન્દુ તિવારી છે, જે એક ભારતીય પ્રવાસી છે જેને 2019 માં પ્રવાસી ભારતી સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પૂર્ણન્દુ તિવારીએ ભારતીય નૌકાદળમાં ઘણા મોટા જહાજોને કમાન્ડ કર્યા છે.
તિવારીની બહેન ડૉ. મીતુ ભાર્ગવે વ્યક્ત કરી ચિંતા
અહીં તિવારીની બહેન ડૉ. મીતુ ભાર્ગવે કહ્યું કે અમે ખૂબ ચિંતિત છીએ. અમારા ભાઈની કયા આરોપ હેઠળ અટકાયત કરવામાં આવી છે તેનો જવાબ અમને મળી શક્યો નથી? તેની અટકાયત કર્યાને 70 દિવસ થઈ ગયા છે. ભારત સરકારે વહેલી તકે મુક્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
વિદેશ મંત્રાલયના પ્રયાસો ચાલુ છે
વિદેશ મંત્રાલય (MEA) એ ખાતરી આપી છે કે દોહામાં ભારતીય દૂતાવાસ કતારના આઠ ભૂતપૂર્વ નૌકાદળ અધિકારીઓની વહેલી મુક્તિ અને સ્વદેશ પરત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે કતાર સરકાર તરફથી કોન્સ્યુલર એક્સેસ મળ્યા બાદ અમારે તેમની સ્થિતિ જાણવાની છે, પરંતુ સરકારને હજુ સુધી એ માહિતી મળી નથી કે તેઓની ધરપકડ કયા આરોપમાં કરવામાં આવી છે.
આ તમામ કતારની ખાનગી કંપનીમાં કામ કરતા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિટાયર થયા બાદ આ તમામ ખલાસીઓ કતારની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. કંપની કતાર એમીરી નેવીને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીનું નામ દહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ છે. કંપની પોતાને કતારની સંરક્ષણ, સુરક્ષા અને અન્ય સરકારી એજન્સીઓના સ્થાનિક ભાગીદાર તરીકે વર્ણવે છે.