બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / તંત્રની બેદરકારીએ માસૂમનો જીવ લીધો, USથી ડિપોર્ટ ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, જુઓ મોટા સમાચાર
Last Updated: 08:03 PM, 6 February 2025
ADVERTISEMENT
સુરતમાં ગટરમાં પડી ગયેલો માસૂમ જીંદગી સામે જંગ હાર્યો
સુરતમાં ગટરમાં પડી ગયેલા બાળકને લઈ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક 24 કલાકથી ગટરમાં ફસાયેલ બાળકનું મોત થયું છે. નોંધનીય છે કે,ગઇકાલે ગટરમાં પડેલ બાળકને બચાવવા તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. જોકે તંત્રના અથાગ પ્રયાસો પછી પણ તે બાળકને બચાવી શકાયું નથી. વિગતો મુજબ વરિયાવ પંપિગ સ્ટેશન પાસેથી ડ્રેનેજમાંથી મળી આવ્યું છે.
ADVERTISEMENT
CM ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભમેળામાં લગાવશે આસ્થાની ડૂબકી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે. મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.
ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો એક્શન પ્લાન જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ-10, ધોરણ-12ની મુખ્ય પરીક્ષા તા.27-02-2025થી શરૂ થનાર છે. પરીક્ષાના સંચાલન માટેના ઝોન મુજબ પરીક્ષા કેન્દ્રો, કેન્દ્રવાર પરીક્ષાર્થીઓ, બ્લોક બિલ્ડીંગની સંખ્યા, વિષયવાર નોંધાયેલ પરીક્ષાર્થીઓ વગેરે જેવી આંકડાકીય માહિતી અને જિલ્લા કક્ષાએ કરવાની કામગીરીની વિગતો સરળતાથી ઉપલબ્ધ થાય અને એકસૂત્રતા રહે તેમજ જિલ્લા કક્ષાએ પરીક્ષાનું આયોજન અને અમલીકરણ યોગ્ય રીતે કરી શકાય તે હેતુથી બોર્ડ દ્વારા “Action Plan” તૈયાર કરવામાં આવેલ છે. જે બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
પવનોની ગતિ વધશે, અંબાલાલની ચિંતાજનક આગાહી
રાજ્યમાં ફરી એકવાર ઠંડીના ચમકારા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં પવનની ગતિ વધુ રહેશે. અંબાલાલની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ જોવા મળશે. આ સાથે ધીમીધીમે મહત્તમ તાપમાનમાં વધારો થશે તો તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ સાથે ખેતરોમાં પાક ખરી જવાની આગાહીને પગલે હવે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ શકે છે.
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અમૃતસર પહોંચ્યા બાદ આજે તેઓ દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. અમૃતસરમાં તમામ ઓળખ અને અન્ય કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી. અમેરિકાથી પરત આવેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓ છે.. રાજ્ય સરકારે આ 33 લોકોને ઘરે પહોંચાડવા વ્યવસ્થા કરી હતી. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. અમદાવાદથી તમામ લોકો પોલીસ સાથે તેમના ઘરે પહોંચશે. અમેરિકાથી પરત આવનારમાં મહેસાણાના 12 લોકો છે. ગાંધીનગરના પણ 12 લોકોનો સમાવેશ થાય છે. તો સુરતના 4 અને અમદાવાદના 2 લોકો શામેલ છે. તો ખેડાના 1, વડોદરાના 1 અને પાટણના 1નો સમાવેશ થાય છે.
PM મોદીના રાજ્યસભામાં વિપક્ષ પર વાર
સંસદના બંને ગૃહોમાં બજેટ સત્રના પાંચમા દિવસની કાર્યવાહી હંગામા સાથે શરૂ થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાલ રાજ્યસભાને સંબોધિત કરી રહ્યા છે. PM મોદી આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. રાજ્યસભામાં PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પાસેથી 'સબકા સાથ, સબકા વિકાસ'ની અપેક્ષા રાખવી એ ભૂલ છે. રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ આ બાબતે વિગતવાર ચર્ચા કરી છે અને દેશને ભવિષ્યની દિશા પણ બતાવી છે. રાષ્ટ્રપતિનું ભાષણ પ્રેરણાદાયક, અસરકારક અને ભવિષ્યના કાર્ય માટે આપણા બધા માટે માર્ગદર્શક હતું. જેને સમજાયું, તેણે એ રીતે સમજાવ્યું. અહીં "સબકા સાથ, સબકા વિકાસ" વિશે ઘણું બધું કહેવામાં આવ્યું. આમાં શું મુશ્કેલી છે? આ આપણા બધાની જવાબદારી છે. જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે, તેમની પાસેથી આ માટે કંઈપણ અપેક્ષા રાખવી એ એક મોટી ભૂલ હશે. આ તેમની વિચારસરણી અને સમજની બહાર છે અને રોડમેપમાં પણ બંધબેસતું નથી.
મહાકુંભ જતાં મોત મળ્યું! ટાયર ફાટતાં કાર સાથે અથડાઈ બસ, 8 લોકોના મોત
યુપીના પ્રયાગગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જતાં 8 લોકોના દર્દનાક મોત થયાં હતા. રાજસ્થાનના જયપુરમાં બનેલી આ ઘટના બાદ શોક છવાયો છે. ઘટનાની વિગતો અનુસાર, જયપુરના દુદૂથી કારમાં બેસીને 8 લોકો મહાકુંભમાં જતાં હતા ત્યારે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું અને લેન તોડીને રોંગ સાઈડમાં ઘુસી ગઈ હતી અને સામે આવી રહેલી રોડરેજની બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફૂરચે-ફૂરચા ઉડી ગયાં હતા અને તેમાં સવાર તમામ લોકોના મોત થયાં હતા. એક્સિન્ડ બાદ ગામલોકો ઘટનાસ્થળે ધસી આવ્યાં હતા અને ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરુ કર્યું અને આઠ લાશ બહાર કાઢી હતી. પોલીસે ક્રેનની મદદથી કારને હટાવીને ટ્રાફિકને ચાલુ કર્યો હતો.
વધુ વાંચો : સુરતમાં ગટરમાં પડી ગયેલો માસૂમ જીંદગી સામે જંગ હાર્યો, મૃત હાલતમાં મળ્યો 2 વર્ષનો બાળક
હાથમાં હાથકડી અને પગમાં બેડી, અમેરિકાએ આ રીતે ભારતીયોને ડિપોર્ટ કર્યા, કહ્યું illegal aliens
યુએસ બોર્ડર પેટ્રોલ ચીફ માઈકલ ડબલ્યુ. બેંક્સે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને કહ્યું કે યૂએસબીપી અને પાર્ટનર્સએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને સફળતાપૂર્વક ભારતમાં મોકલ્યા છે. જો તમે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરશો તો તમારે તેના પરિણામો ભોગવવા પડશે. અમેરિકાથી દેશનિકાલ કરીને ભારત મોકલવામાં આવેલા 104 ભારતીયોનો મુદ્દો દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. આના વિરોધમાં વિપક્ષી સાંસદો સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન યુએસ બોર્ડર પેટ્રોલ (UBSP) એ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને યુએસ લશ્કરી વિમાન દ્વારા ભારત મોકલવામાં આવી રહ્યાનો એક વીડિયો બહાર પાડ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.