બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / કાલે કઈ દિશામાં કેવો રહેશે પવન? મહાકુંભમાં 11 લોકોના હ્રદય થંભી ગયા, જુઓ 8 મોટા સમાચાર
Last Updated: 08:03 PM, 13 January 2025
ગુજરાતમાં ઉત્તરાયણના બે દિવસ પવનનો વેગ રહેશે
ADVERTISEMENT
આવતીકાલે ઉત્તરાયણ છે ત્યારે પતંગરસિયાઓ પતંગ ચગાવવા માટે તલપાપડ થઇ રહ્યા છે. ત્યારે તહેવારને લઇ હવામાન વિભાગે ઠંડીને લઇ આગાહી કરી હતી. જેમાં રાજયના હવામાન વિભાગે સારા પવનની આગાહી કરી હતી. આ બાબતે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેશે. 15 થી 20 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેમાં નલિયાનું તાપમાન 8.8 ડિગ્રી રહેવાનું અનુમાન હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે અમદાવાદમાં 12 થી 13 ડિગ્રી રહેશે અને ઉતરાયણમાં બે દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેમ તેઓએ કહ્યું છે. ઉત્તરાયણનાં દિવસે પતંગ રસિયાઓને ખુશ કરે તેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. 14 જાન્યુઆરીએ પવનની ગતિ-દિશા ખૂબ અનુકુળ રહેશે તેમજ રાજ્યમાં 14 જાન્યુઆરીએ આકાશ ખુલ્લુ રહેશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 25 થી 30 ડિગ્રી રહવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
કચ્છના હરામીનાળામાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો
અવારનવાર કચ્છની દરિયાઈ સીમાના હરામીનાળામાંથી પાકિસ્તાની ધૂસણખોરો ભારતમાં આવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે તાજેતરમાં કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાની નાગરિક પકડાયો હતો. જેની BSF ના જવાનોએ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. જેમાં પાકિસ્તાની નાગરિક સિંધ પ્રાંતનો હોવાની માહિતી મળી હતી. BSF ના જવાનોએ આરોપીની પૂછપરછ કરતા તેણે તેનુ નામ બાબુ અલી હોવાનું જણાવ્યું છે. ઉલેખ્ખનિય છે કે આવી રીતે દર વર્ષે કેટલાય પાકિસ્તાની લોકોને પકડવામાં આવે છે. અને સજા કરીને પાકિસ્તાન ડિપોર્ટ કરી દેવામાં આવે છે. ત્યારે તાજેતરમાં વધુ એક પાકિસ્તાની મળી આવતા બીએસએફના જવાનોએ વધુ તપાસ આદરી છે.
અમરેલી લેટર કાંડ કેસની તપાસ IPS નિર્લિપ્ત રાયને સોપવામાં આવી
અમરેલી લેટર કાંડ મામલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે મોટો નિર્ણય લીધો છે. હવે અમરેલી લેટર કાંડની તપાસ હવે SMC ના વડાને સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલાની તપાસ હવે નિલિપ્ત રાય અને તેમની ટીમ કરશે. ત્યારે પીડિત તરફથી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. તેમજ IPS નિલિપ્ત રાય તપાસ કરે તેવી નામ જોગ માંગ પણ કરાઈ હતી. અમરેલીમાં પાયલ ગોટીનું સરઘસ કાઢવાના કેસમાં જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતે હેડ કોન્સ્ટેબલ કિશન આંસોદરીયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ મૂળયાસીયા અને પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે.
અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
Uttarayan 2025 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. વિગતો મુજબ અમિત શાહ આજથી આજથી 3 દિવસના પ્રવાસે આવશે. આ ત્રણ દિવસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. આ સાથે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. નોંધનિય છે કે, ગૃહમંત્રી લગભગ દર ઉત્તરાયણના દિવસે અમદાવાદ આવતા હોય છે અને પોતાના પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરતાં હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવનાર છે. 3 દિવસીય પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તો અમિત શાહ પરિવાર સાથે પણ મકરસંક્રાંતિની ઉજવણી કરશે. આ સાથે આવતીકાલે મેમનગરમાં કાર્યકર્તાઓ સાથે મળીને પતંગ ઉડાવશે અને 15 જાન્યુઆરીએ ગોલથરા ગામની મુલાકાત લેશે. મહત્વનું છે કે, ગોલથરામાં સરકારી યોજનાના લાભાર્થી કેમ્પની મુલાકાત લેશે.
ગુજરાતમાં દાદાનું બુલડોઝર ચાલ્યું
રાજ્યની ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે જામનગરના પિરોટન ટાપુ પરના ગેરકાયદે અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરી છે.. પિરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર અતિક્રમણ પર બુલડોઝર ફેરવી દેવાયું છે. ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ પગલું રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રદેશની દરિયાઇ ઇકોસિસ્ટમને બચાવવા માટે લેવામાં આવ્યું છે. પિરોટન ટાપુ પાંચ SPM (સિંગલ પોઈન્ટ મૂરિંગ્સ) ની નજીક સ્થિત છે, જે દેશના 60 ટકા ક્રૂડ ઓઈલ સપ્લાય કરે છે. આ ટાપુ મરીન નેશનલ પાર્કનો પણ એક ભાગ છે અને ગેરકાયદે અતિક્રમણને કારણે દરિયાઈ જીવન, ખાસ કરીને પરવાળાના ખડકોને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. અતિક્રમણને કારણે લોકોની વધતી જતી ગેરકાયદેસર અવરજવરે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ચિંતાઓ ઊભી કરી હતી.
મહાકુંભમાં બે શ્રદ્ધાળુઓના મોત, 11 લોકોને હાર્ટ એટેક
Mahakumbh 2025 : આજે પ્રયાગરાજમાં યોજાયેલા મહા કુંભ મેળામાં પવિત્ર સ્નાન કર્યા બાદ ભક્તોને હાર્ટ એટેક આવ્યો હતો. વિગતો મુજબ 2 દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક આવ્યાના અહેવાલ છે. મેળામાં પરેડ ગ્રાઉન્ડ ખાતે ખોલવામાં આવેલી સેન્ટ્રલ હોસ્પિટલમાં 6 દર્દીઓ અને સેક્ટર-20માં સબ સેન્ટર હોસ્પિટલમાં 5 દર્દીઓ લાવવામાં આવ્યા હતા. બંને હોસ્પિટલમાં સારવાર બાદ નવ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે મોકલી દેવાયા હતા. પ્રથમ સ્નાન ઉત્સવ દરમિયાન હવામાનમાં આવેલા અચાનક ફેરફારથી મહા કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટે મુશ્કેલી સર્જાઈ હતી. આસામ અને છત્તીસગઢના બે શ્રદ્ધાળુઓ ઠંડીના કારણે મૃત્યુ પામ્યા હતા, જેના કારણે મેળા વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મહા કુંભ મેળા દરમિયાન મેળા વિસ્તારની હોસ્પિટલોમાં દિવસભર દર્દીઓનો ધસારો રહ્યો હતો. આ તરફ બે દર્દીઓની હાલત નાજુક હોવાથી તેઓને એસઆરએન હોસ્પિટલમાં રીફર કરાયા હતા, પરંતુ રવિવારે મેળામાં ખુલ્લો મુકાયેલો સેન્ટ્રલ હોસ્પિટલનો 10 બેડનો આઈસીયુ વોર્ડ હૃદયના દર્દીઓથી ભરાઈ ગયો હતો.
મહારાષ્ટ્રમાં અકસ્માતમાં 8ના મોત, અનેક ઘાયલ
Maharashtra Accident : મહારાષ્ટ્રના નાસિકથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ નાસિકમાં દ્વારકા ફ્લાયઓવર પર ટ્રક અને પીકઅપ વાહન વચ્ચેની અથડામણમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે ઘણા ઘાયલ થયા છે. દરેકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. વિગતો મુજબ ટ્રકમાં લોખંડ ભરેલો હતો. આ અકસ્માત રવિવારે (12 જાન્યુઆરી) સાંજે 7.30 વાગ્યે અયપ્પા મંદિર પાસે થયો હતો. એક અધિકારીએ માહિતી આપી હતી કે, ટેમ્પોમાં 16 મુસાફરો હતા જેઓ ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા અને સિડકો તરફ જઈ રહ્યા હતા. ટેમ્પોના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દેતા લોખંડના સળિયા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કેટલાક લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
શેર બજારમાં ફરી ભયંકર તબાહી
આજનો દિવસ એટલે કે 13 જાન્યુઆરી, 2025 ભારતીય શેરબજાર માટે ખૂબ જ ખરાબ દિવસ રહ્યો છે. સેન્સેક્સ 86000થી 76000 પર પહોંચતા રોકાણકારોને ઉંધામાથે ડૂબાડ્યા છે. આજે એક જ દિવસમાં મોટા ઘટાડાને કારણે 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી આજે લાલ નિશાનમાં બંધ થયા હતા અને મોટા ભાગના મોટા શેરો ખોટમાં રહ્યા હતા. ટ્રેડિંગ બંધ થવાના સમયે સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. ટ્રેડિંગના બંધ થવાના સમયે સેન્સેક્સ 1048.90 પોઈન્ટ (1.35 ટકા) ઘટીને 76,330.01 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 50 345.55 (1.47 ટકા) ઘટીને 23,085.95ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાં 4 કંપનીઓ સિવાય અન્ય તમામ શેર લાલ નિશાનમાં બંધ થયા છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.