બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, જુઓ 8 મોટા સમાચાર
Last Updated: 08:01 PM, 4 December 2024
ADVERTISEMENT
આગામી 3 દિવસ કેવું રહેશે વાતાવરણ
Gujarat Winter : રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં થોડો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ રાજ્યમાં સરેરાશ અઢી ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે. આ તરફ નલિયામાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી રહ્યું, કંડલા એરપોર્ટ અને ડીસામાં 14.6 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી રહ્યું છે. મહત્વનું છે કે, આગામી 3 થી 5 દિવસ તાપમાન સ્થિર રહેવાની આગાહી કરાઇ છે . હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે, ગુજરાતનાં તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થશે. પરંતુ કોઈ મોટા ફેરફારોની શક્યતા હાલ જોવાઈ રહી નથી. આમ રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું આગામી દિવસોમાં પણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. રાજ્યના મધ્ય ભાગમાં પણ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.
ADVERTISEMENT
ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
ગુજરાત સરકારે કર્મચારીઓના હિત વધુ એક નિર્ણય કર્યો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, સરકારી કર્મચારીઓને જુલાઈ-2024થી નવેમ્બર-204 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાની રકમ ડિસેમ્બરના પગાર સાથે (પેઇડ ઇન જાન્યુઆરી-2025) રોકડમાં આપવામાં આવશે. આ મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.
માત્ર 48 કલાકમાં આપઘાતની 8 ઘટના
Surat Suicide : રાજ્યમાં લગભગ દરરોજ આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. આ તરફ હવે ડાયમંડ નગરી સુરતથી જે સમાચાર સામે આવ્યા તે ખરેખર ચોંકાવનારા છે. વાસ્તવમાં સુરતમાં 48 કલાકમાં આપઘાતની 8 ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આ આપઘાતની ઘટનાઓમાં કોઈએ આર્થિક તંગીને કારણે જીવન ટૂંકાવ્યું તો કોઈએ સામાન્ય બાબતોમાં આપઘાત કરી લીધો છે. આ તરફ મૃતકોના પરિજનોમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. સુરતમા 48 કલાકમાં આપઘાતના 8 બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ ભાજપ મહિલા નેતા સહિત બે દિવસમાં 8 લોકોએ જીવન ટૂંકાવ્યું છે. જેમાં એક રત્ન કલાકારે આર્થિક મંદીને કારણે જીવન ટૂંકાવ્યું છે. સંજય રામજી મકવાણાએ હીરામાં મંદી હોવાથી કામ ન મળતા આપઘાત કર્યો છે.
ભૂપેન્દ્ર ઝાલા રૂપિયાનું કઇ જગ્યાએ રોકાણ કરતો ?
BZ Ponzi Scheme : 6000 કરોડના કૌભાંડના 'માસ્ટર માઈન્ડ' ભૂપેન્દ્ર ઝાલાને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. BZ પોન્ઝી સ્કીમના કૌભાંડમાં નવો ખુલાસો થયો છે કે, કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા ઉઘરાવેલા રૂપિયાનું ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરતો હતો. ભૂપેન્દ્ર ઝાલા ક્રિપ્ટો કરન્સીના રોકાણમાં ડિજિટલ વોલેટની માહિતી હાથમાં લાગી છે. CID ક્રાઈમે ફોરેક્સ અને ક્રિપ્ટો ટ્રેડિંગની દિશામાં તપાસ હાથ ધરી છે. આ સાથે CID ક્રાઈમ ડિજિટલ વોલેટના ખાતાની વિગતો પણ તપાસ કરી રહી છે. BZ પોન્ઝી સ્કીમના કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાને મોંધા ફોનનો ઘણો શોખ હતો. જેમાં વિવિધ ફોટાઓમાં આઇફોનના મોબાઇલ વાપરતો તે જોવા મળ્યો છે. ત્યારે આ આઇફોનની ઉપર તે સોનાના કવરો લગાવતો હતો. જેના ફોટા રોલા પાડવા અને દેખાડા કરવા માટે સોશિયલ મીડિયામાં મૂકતો હતો. ભૂપેન્દ્રએ BZના લોગો સાથે સોનાના કવર તૈયાર કરાવ્યા હતા. 5 થી 11 તોલા સોનામાંથી મોબાઈલ કવર તૈયાર કરાયા હતા.
બરોડા અક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, 3ના મોત, 2 ઘાયલ
Road Accident: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાઈવે પર થતા અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારે થયો છે. આજે (4 ડિસેમ્બર) વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. જયારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર બની છે. નડીયાદ-બિલોદરા બ્રિજ પાસે કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કારનું ટાયર ફાટી જતા આ ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ જતા ટ્રકની સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો.
દાહોદમાં અકસ્માત, ત્રણ ભાઈઓના મોત
Dahod Accident : રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આ ઘટનાઓમાં આજે વધુ એક દર્દનાક અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. વાસ્તવમાં દાહોદના તોયણી ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ્યારે અન્ય બે વ્યક્તિના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આ સાથે 3 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તમામને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દાહોદમાં દેવગઢ બારીયાના તોયણી ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. તોયણી ગામના રંધિકપુર રોડ પર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બઢો ભયાનક હતો કે, એક શખ્સનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સાથે અન્ય બે લોકો કે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેઓનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. આ તરફ અકસ્માતમાં અન્ય 3 લોકોને પણને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા છે.
ફડણવીસ જ મહારાષ્ટ્રના CM
Maharashtra CM Devendra Fadnavis : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને છેલ્લા 12 દિવસથી ચાલી રહેલું સસ્પેન્સ આજે સમાપ્ત થઈ ગયું છે. મહાયુતિ મહાગઠબંધન (ભાજપ-એનસીપી-શિવસેના)ના ધારાસભ્ય દળની બેઠક માટે પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષકો મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈમાં BJP વિધાયક દળની બેઠક દરમિયાન વિજય રૂપાણીએ કે જેમને મહારાષ્ટ્ર લેજિસ્લેટિવ પાર્ટીની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મુખ્યમંત્રી પદ માટે તેમની પસંદગીના નામો પ્રસ્તાવિત કરવા વિનંતી કરી હતી. આ પછી ચંદ્રકાંત પાટીલે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો. સુધીર મુનગંટીવારે પણ ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
પંજાબમાં ફાયરિંગની ઘટના, પૂર્વ CM માંડ માંડ બચ્યા
પંજાબમાં શિરોમણી અકાલી દળ (SAD) ના નેતા સુખબીર સિંહ બાદલ પર હુમલો થયાના સમાચાર છે. આ હુમલામાં પૂર્વ ડેપ્યુટી સીએમનો માંડ માંડ આબાદ બચાવ થયો છે ત્યારે ત્યાં હાજર લોકોની મદદથી હુમલો કરનારને પોલીસે તાત્કાલિક ઝડપી લીધો છે. આ ઘટના અમૃતસરના અતિ પ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પલ પર ઘટી હતી. પંજાબના શિરોમણી અકાલી દળના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ પર એક અજાણ્યા શખ્સે ફાયર કર્યું હતું. આ ફાયરિંગ થતાં જ ત્યાં હજાર લોકોએ આરોપીને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની પાસેથી પિસ્તોલ પણ બરામદ કરી છે, આ ઘટનાને અંજામ આપવા તેણે એક દિવસ અગાઉ રેકી કરી હોવાની પણ કબૂલાત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તેનું નામ નારાયણ સિંહ જણાવ્યું હતું અને ખાલસા દળ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.