દેશના 8.8 લાખ બેંક કર્મચારીઓને દિવાળી પહેલાં મોટી ભેટ મળી છે. ઈન્ડિયન બેંક એસોસિએશન અને બેંક કર્મચારીઓની 9 યુનિયનો વચ્ચે સેલરીમાં 15 ટકાના વધારો કરવા માટે સંમત થઈ ગયા છે. આ નિર્ણયથી દિવાળી પહેલાં 29 બેંકના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા હતા.
29 બેંકના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર
દેશના 8.8 લાખ બેંક કર્મચારીઓને દિવાળી પહેલાં મોટી ભેટ મળી છે
સેલરીમાં 15 ટકાના વધારો થયો
બેંક કર્મચારીઓના પગારમાં આ વધારો 1 નવેમ્બર 2017થી અમલમાં આવશે અને ત્યારબાદ તેમને અત્યાર સુધીનું એરિયર ચૂકવવામાં આવશે. આ પગાર ધોરણ 31 ઓક્ટોબર 2022 સુધી અમલમાં રહેશે અને તે પછી જ તેમાં વધારો કરવા અંગે વિચારણા થશે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2021થી પરફોર્મન્સ લિંક્ડ ઈન્સેન્ટિવની શરૂઆત કરવામાં આવશે.
આ સિવાય એનપીએસ એટલે કે નવી પેન્શન યોજનામાં બેંકો દ્વારા 14% યોગદાન આપવામાં આવશે. જે અત્યાર સુધી માત્ર 10 ટકા હતું. આ ઉપરાંત રજાના નિયમોમાં રાહત આપવામાં આવી છે અને મેટરનિટી લીવની અવધિમાં વધારો કરવામાં આવ્યો છે. બેંકો દ્વારા ટૂંક સમયમાં એરિયરની બાકી રકમ જારી કરવામાં આવી શકે છે. આ રકમ 1 નવેમ્બર 2017થી 31 ઓક્ટોબર 2020 માટે હશે.
બેંક કર્મચારીઓ અને ભારતીય બેંક્સ એસોસિએશન વચ્ચે ત્રણ વર્ષ બાદ પગાર વધારા પર સહમતિ થઈ છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું કે આ નિર્ણયથી 29 બેંકોના 8.8 લાખ કર્મચારીઓને લાભ મળશે.
તેમાંથી 3,78,783 બેંક અધિકારી છે અને બાકીના કર્મચારીઓ અને સબ સ્ટાફ છે. પગારમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા, વાર્ષિક 7,898 કરોડ રૂપિયા વધારાના ખર્ચ થશે. આ નિર્ણય 12 સરકારી બેંકો, 10 ખાનગી બેંકો અને 7 વિદેશી બેંકો સહિત 29 બેંકો માટે લેવામાં આવ્યો છે. આ નિર્ણય લેતા ભારતીય બેંક્સ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ સુનિલ મહેતાએ જણાવ્યું કે કર્મચારીઓમાં સ્પર્ધાત્મક વાતાવરણ બનાવવા અને પર્ફોમન્સ પર રિવોર્ડ આપવા માટે પરફોર્મન્સ લિંક્ડ પે સુવિધા શરૂ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, કર્મચારીઓ સેલરીમાં વધારાને લઈને છેલ્લા ઘણાં વર્ષોથી આંદોલન કરી રહ્યા હતા. જોકે, અત્યાર સુધી ભારતીય બેંક્સ એસોસિએશન અને બેંક કર્મચારીઓ વચ્ચે કોઈ કરાર થઈ શક્યો નહોતો.