દેશની આઝાદીને આજે 75 વર્ષ પૂર્ણ થતા ગાંધીનગરના કમલમ ખાતે 76મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી.
ગાંધીનગરમાં કમલમ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં ઉજવણી કરાઇ
હર ઘર તિરંગા સામે હર જગહ તિરંગાને પ્રતિસાદ મળ્યો: પાટીલ
ગાંધીનગરના કમલમ ખાતે આજે 76મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઇ. જે નિમિત્તે CR પાટીલના હસ્તે ધ્વજવંદન કરાયું. જે દરમ્યાન ખૂબ મોટી સંખ્યામાં ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં.
હર ઘર તિરંગા નહીં પરંતુ હર જગહ તિરંગાને પ્રતિસાદ મળ્યો: પાટીલ
76મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે CR પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, 'આજે આપણે 75મો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ. આખા દેશમાં આઝાદી મળી ત્યારે જે માહોલ હતો તેના કરતા પણ અનેક ગણો ઉત્સાહનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન આખા દેશમાં આહ્વાન કર્યું હતું કે હર ઘર તિરંગાના આ આહવાનને આખા દેશના લોકો આ રીતે પ્રતિસાદ આપશે. પરંતુ આપણે જોઇ રહ્યાં છીએ કે હર ઘર તિરંગા નહીં પરંતુ હર જગહ તિરંગાને પ્રતિસાદ મળ્યો છે. કોઇ પણ જગ્યાએ નાનો-મોટો બિઝનેસ કરવાવાળો વ્યક્તિ હશે કે પછી કોઇ લારી ચલાવતો હશે એવી દરેક જગ્યા પર આપણે તિરંગો લહેરાતો જોયો છે.
આપણે પણ દેશ માટે શહીદી આપવાની જરૂર પડે તો તૈયાર રહેવાનો સંકલ્પ કરીએ
વધુમાં જણાવ્યું કે, 'આખાય દેશમાં એક ઉન્માદનું વાતાવરણ, એક દેશપ્રેમનું વાતાવરણ એ આપણને જોવા મળી રહ્યું છે. દર વર્ષે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ આપણે જ્યારે ધ્વજવંદન કરીએ છીએ ત્યારે આપણે એક સંકલ્પ પણ કરતા હોઇએ છીએ કે આ જે સ્વતંત્રતા આપણને મળી છે તેની માટે જેમણે-જેમણે શહીદી વહોરી લીધી તેમના કુટુંબને આપણે પ્રણામ કરીએ છીએ, તેમને યાદ કરતા હોઈએ છીએ. આપણે પણ જ્યારે ધ્વજવંદન કરીએ છીએ ત્યારે આપણે એક સંકલ્પ કરવો જોઇએ કે અમે પણ જો આ દેશ માટે શહીદી આપવાની જરૂરિયાત પડશે તો અમે તૈયાર છીએ. આજે 75 વર્ષ પછી જે રીતે દેશ આગળ વધી રહ્યો છે તે જોતા જે શહીદ થયેલા જે આપણા પૂર્વજો છે તેઓ આજે સંતોષ અનુભવતા હશે કે જે દેશને તેઓએ આઝાદી અપાવી છે તે દેશ આજે પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે.'