ભારતમાં મહામારી વચ્ચે આનંદ અને ઉલ્લાસનો અવસર આવ્યો છે જેના કારણે ઘણા બધા એવા વેપારીઓ જે ઘણા મહિનાઓથી મંદીની માર સહી રહ્યા હતા તેમના ચહેરા પર પણ મુસ્કાન આવી છે. દિવાળીમાં ભારત સાથે સંબંધો બગાડનાર ચીનનું પણ જોરદાર નુકસાન થયું છે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે કહ્યું છે કે ભારતના પ્રમુખ બજારોમાં 72 હજાર કરોડ રૂપિયાનો વેપાર થયો છે અને આ વર્ષે ઘણા બધા વેપારીઓએ ચીની સામાન વેચ્યો જ નથી અને ચીનને ઝટકો આપ્યો છે.
CAITએ એક નિવેદનમાં કહ્યું કે ભારતનાં 20 અલગ અલગ શહેરોના અહેવાલો અનુસાર દિવાળીમાં 72 હજાર કરોડ રૂપિયાનો વેપાર થયો છે અને ચીનને 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરું, હૈદરાબાદ, કોલકાતા, નાગપુર, રાયપુર, ભુવનેશ્વર, રાંચી, ભોપાલ, લખનૌ, કાનપુર, નોએડા, જમ્મુ. અમદાવાદ, સૂરત, કોચી, જયપુર અને ચંડીગઢ જેવા મોટા શહેરોમાંથી આ અહેવાલ સામે આવ્યા છે.
CAITએ કહ્યું કે દિવાળીમાં જે રીતે ખરીદી થઇ છે તેને જોતા ભવિષ્યમાં વેપારની સારી સંભાવનાઓ છે અને વેપારીઓના ચહેરા પર મુસ્કાન આવી શકે છે.
નોંધનીય છે કે કેટલાક મહિનાથી ભારત અને ચીન વચ્ચે લદાખની સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે અને ભારતના વીર સપૂતોએ માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન પણ આપ્યું છે ત્યારે ભારતીયોએ સ્વયંભૂ જ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવા આહ્વાહન કર્યું હતું જેની અસર આ દિવાળીમાં ખૂબ જોવા મળી હતી.