કાબુલ એરપોર્ટ પર થયેલ હુમલામાં 72 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. સિરિયલ બ્લાસ્ટની જવાબદારી આઈએસઆઈએસ લઈ ચૂક્યું છે ત્યારે હવે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન અપાયું હતું
ભારતે ગુરુવારે કાબુલ એરપોર્ટ પર થયેલા બોમ્બ વિસ્ફોટોની સખત નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ વિસ્ફોટોએ ફરી એક વખત પ્રકાશ પાડ્યો છે કે વિશ્વને આતંક સામે એકસાથે આવવાની જરૂર છે. આ વિસ્ફોટ દર્શાવે છે કે આપણે આતંકવાદ અને તેને પોષનારાઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે.
ઘાયલોના સાજા થવા માટે પ્રાર્થના
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, "આ હુમલાઓએ વિશ્વને આતંકવાદ અને આતંકવાદીઓને આશ્રય આપનારાઓ સામે સાથે રહેવાની જરૂરિયાતને મજબૂત કરી છે." મંત્રાલયે હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ભારત કાબુલમાં થયેલા બોમ્બ વિસ્ફોટની સખત નિંદા કરે છે. અમે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે ઘાયલોના સાજા થવા માટે પ્રાર્થના કરીએ છીએ.
બે આત્મઘાતી હુમલામાં 72 થી વધુ લોકોના મોત થયા છે. આ આતંકવાદી હુમલામાં 13 અમેરિકન સૈનિકોના મોત થયા છે અને 15 ઘાયલ થયા છે. વિસ્ફોટમાં કુલ 140 લોકો ઘાયલ થયા છે. રશિયન ન્યૂઝ એજન્સીએ ત્રીજો વિસ્ફોટ થવાનો હોવાનો પણ દાવો કર્યો હતો.
13 અમેરિકન સૈનિકોના મોત
એસોસિએટેડ પ્રેસે બે અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં તેમના કુલ 13 લોકો માર્યા ગયા હતા. જેમાં 12 સૈનિકો અને એક આર્મી ડોક્ટરનો સમાવેશ થાય છે. જો સૂત્રોનું માનીએ તો હુમલામાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. બે વિસ્ફોટો બાદ સમગ્ર એરપોર્ટ પર નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા જ્યાંત્યાં દોડતા જોવા મળ્યા હતા.