રાજ્યના ચુંટણી પંચે આચારસંહિતાનો ભંગ કરી રહેલી સરકારની શિક્ષકોની ભરતી યોજના ઉપર રોક લગાવી દીધો છે. આ આચારસંહિતા ગુજરાતની વિધાનસભાની ૪ બેઠકો ઉપર યોજાયેલી પેટા ચુંટણીના પગલે લાગુ કરવામાં આવી છે.
આગામી પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય શિક્ષણ ખાતાએ ૭૦૦૦ શિક્ષકોની ભરતીની પ્રક્રિયાને મુલતવી રાખી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય શિક્ષણ ખાતાએ જાહેરાત કરી હતી કે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૫ વર્ષના લાંબા સમય પછી ૭૦૦૦ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ૧૦મી ઓક્ટોબરથી શરુ થશે.
પરંતુ રાજ્યના ચુંટણીપંચે આ અરજીને મુલતવી કરી દીધી હતી કારણકે તે આચારસંહિતાની વિરુદ્ધમાં જાય છે. નોંધનીય છે કે આચારસંહિતા સરકારને ચુંટણી નજીક હોય ત્યારે કોઈ પણ નોકરી અથવા અન્ય પ્રજાલક્ષી જાહેરાત કરવાથી રોકે છે.
ગયા મહિને રાજ્યના વિદ્યાર્થીઓએ શાળાઓમાં શિક્ષકોની ખાલી પડી રહેલી જગ્યાઓની બાબતના વિરોધમાં દેખાવો યોજ્યા હતા. રાજ્ય સરકારે ઠેર ઠેર કેમ્પ યોજીને રાજ્યમાં શિક્ષકોની કેટલી સંખ્યામાં ઘટ પડી રહી છે તેને લગતી માહિતી એકઠી કરી હતી.
વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભરતીની પરીક્ષા પાસ કર્યાના સર્ટીફીકેટની ૫ વર્ષની વેલીડીટી માટે પણ વિરોધ કર્યો હતો અને માંગણી કરી હતી કે શિક્ષકોની ભરતી નિશ્ચિત સમયગાળાની અંદર થઇ જાય.
ગુજરાત રાજ્યમાં ૨૧મી ઓક્ટોબરે અમરાઈવાડી, ખેરાળુ, લુણાવાડા અને થરાદ એમ ૪ બેઠકો ઉપર પેટાચુંટણી યોજી છે. આ ચુંટણી ૨૧ ઓક્ટોબરે યોજાશે. આ ક્ષેત્રોના ભાજપના ધારાસભ્યો લોકસભામાં સાંસદ તરીકે ચુંટાઈ ગયા હોવાથી તેમની બેઠકો ખાલી પડી છે.