શહેરમાં સ્માર્ટ આંગણવાડીનાં ઢોલ-નગારાં વગાડાય છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે મોટા ભાગની આંગણવાડીને પોતાનાં મકાન નથી, પરંતુ ભાડાનાં મકાનમાં આંગણવાડી ચલાવાઇ રહી છે. જે આંગણવાડીના ગરીબ પરિવારનાં લાભાર્થી બાળકોના વિકાસને રુંધે છે.
અમદાવાદમાં તંત્ર ૭૦ ટકા આંગણવાડી ભાડાના મકાનમાં ચલાવે
દર વર્ષે રૂ.૧૦.૩પ કરોડ જેટલી અધધ રકમ વિવિધ એનજીઓને ચૂૂકવાઇ
દર વર્ષે ભાડા સહિત રૂ.૧૦૦ કરોડથી વધુ રકમ આંગણવાડી ચલાવવા પાછળ ખર્ચ
શહેરના શાસકો દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧નું રૂ.૯૬૮પ કરોડનું જમ્બો બજેટ મંજૂર કરાયું છે. આ જમ્બો બજેટમાં શાસક ભાજપ પક્ષ દ્વારા રૂ.૭૭૭.૬૮ કરોડનાં વધારાનાં વિકાસકામને લીલી ઝંડી અપાઇ છે. બજેટમાં કરોડો રૂપિયાના મોટા પ્રોજેક્ટની ભરમાર છે, જોકે કોરોના મહામારીના પગલે આવકનાં ફાંફાં પડતાં મહદંશે આ મોટા પ્રોજેક્ટ કાગળ પર જ રહી જવાના છે, જોકે આમાં શરમજનક બાબત એ છે કે ગરીબ પરિવારનાં છ વર્ષ સુધીનાં બાળકો માટે ચલાવાતી આંગણવાડી તરફ નજર જ નખાતી નથી. આમ તો શહેરમાં સ્માર્ટ આંગણવાડીનાં ઢોલ-નગારાં વગાડાય છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે મોટા ભાગની આંગણવાડીને પોતાનાં મકાન નથી, પરંતુ ભાડાનાં મકાનમાં આંગણવાડી ચલાવાઇ રહી છે. જે આંગણવાડીના ગરીબ પરિવારનાં લાભાર્થી બાળકોના વિકાસને રુંધે છે.
અઠવાડિયામાં ત્રણ વાર સુખડીનું વિતરણ
મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા જે વિસ્તારમાં છ માસથી છ વર્ષ સુધીનાં રપથી ૩૦ ભૂલકાંઓનું આંગણવાડી માટે તંત્રમાં રજિસ્ટ્રેશન થાય તો તે સંજોગોમાં આંગણવાડી શરૂ કરવાની માન્યતા અપાય છે. ગરીબ પરિવારનાં બાળકો કુપોષણનો ભોગ ન બને તેવા આશયથી તંત્ર આંગણવાડી ચલાવે છે. છ માસથી છ વર્ષનાં બાળકોને બાલશક્તિ અને માતૃશક્તિ યોજના હેઠળ વય જૂથ પ્રમાણે બાલભોગ કે સુખડી અપાય છે. અગાઉ બાળકોને આંગણવાડીમાં જમાડાતાં હતાં, પરંતુ હવે કોરોનાના કારણે જૂન-ર૦ર૦થી સુખડી બનાવીને લાભાર્થી બાળકના ઘરે જઇ અઠવાડિયામાં ત્રણ વાર સુખડીનું વિતરણ કરવામાં આવે છે.
આંગણવાડી પ્રત્યે ઓરમાયું વર્તન
આંગણવાડીદીઠ રપ કે ૩૦ લાભાર્થી ભૂલકાં મુજબ શહેરમાં ચાલતી ર૦૯પ આંગણવાડીનાં આશરે ૬ર,૮પ૦ ભૂલકાં તંદુરસ્ત શરીરનો લાભ આંગણવાડીના પૌષ્ટિક આહારથી મેળવી શકે છે. કુપોષણથી પીડાતા બાળકનું આરોગ્ય પણ સુધરે છે, પરંતુ આમાં દુઃખની બાબત એ છે કે આંગણવાડી પ્રત્યે ઓરમાયું વર્તન કરાઇ રહ્યું છે.
અમદાવાદમાં તંત્ર ૭૦ ટકા આંગણવાડી ભાડાના મકાનમાં ચલાવે
શહેરની ૩૦ ટકાથી વધુ વસ્તી ચાલી-ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરે છે. તેમ છતાં આંગણવાડીની કુલ સંખ્યામાં છેલ્લાં ચાર વર્ષમાં ફક્ત અનેે ફક્ત પ૦નો વધારો થયો છે. વર્ષ ર૦૧પ-૧૬માં અમદાવાદમાં કુલ ર૦૪પ આંગણવાડી હતી, જે વર્ષ ર૦૧૯-ર૦માં વધીને ર૦૯પ થઇ છે! આમાં પણ આઘાતજનક બાબત એ છે કે સ્માર્ટ સિટી અમદાવાદમાં તંત્ર ૭૦ ટકા આંગણવાડી ભાડાના મકાનમાં ચલાવે છે.
૧૭પ આંગણવાડીને પ્રાથમિક શાળા, શાળાના કંપાઉન્ડ કે પછી કોમ્યુનિટી હોલમાં ચલાવાઇ રહી છે
અમદાવાદમાં છાશવારે કરોડો રૂપિયાના મોટા પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરતા શાસકો ગરીબ પરિવારનાં ભૂલકાંઓના કલ્યાણ પ્રત્યે ગુનાઇત બેદરકારી દાખવી રહ્યા હોઇ અમદાવાદમાં માત્ર ને માત્ર ૪૮ર આંગણવાડી વિભિન્ન યોજના હેઠળ બનેલાં સરકારી મકાનમાં ચાલે છે, જ્યારે અન્ય ૧૭પ આંગણવાડીને પ્રાથમિક શાળા, શાળાના કંપાઉન્ડ કે પછી કોમ્યુનિટી હોલમાં ચલાવાઇ રહી છે. આ આંકડા ચોક્કસપણે ચોંકાવનારા છે.
દર વર્ષે રૂ.૧૦.૩પ કરોડ જેટલી અધધ રકમ વિવિધ એનજીઓને ચૂૂકવાઇ
મ્યુનિ. તિજોરીમાંથી ભાડાના મકાનમાં ચલાવાતી આંગણવાડી માટે એનજીઓને દર મહિને રૂ.૬,૦૦૦નું ભાડંંુ ચૂકવાઇ રહ્યું છે. ગત તા.ર ફેબ્રુઆરી, ર૦૧૮થી ભાડું બમણું કરાયું છે. અગાઉ દર મહિને રૂ.૩,૦૦૦ ભાડું ચૂકવાતું હતું, જે એનજીઓને ઓછું પડતું હતું, જોકે મ્યુનિ. તિજોરીમાંથી માત્ર ભાડા પેટે દર મહિને રૂ.૮૬.રર લાખ અને દર વર્ષે રૂ.૧૦.૩પ કરોડ જેટલી અધધ રકમ વિવિધ એનજીઓને ચૂૂકવાઇ રહી છે. ૧ર૭૬ આંગણવાડીના સુપરવિઝનની જવાબદારી એનજીઓના સુપરવાઇઝરને સોંપાઇ હોઇ તે માટે દર વર્ષે રૂ.૧૦૦૦ સુપરવિઝન ચાર્જ અલગથી ચૂકવાય છે.
આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસરનો ઢાંકપિછોડો
આરટીઆઇ એક્ટિવિસ્ટ યશ મકવાણાની આરટીઆઇના ઉત્તરમાં આ પ્રકારની ચાંેકાવનારી વિગત જાણવા મળી છે, જોકે વર્ષ ર૦૧પથી વર્ષ ર૦ર૦ સુધીમાં તમામ આંગણવાડી ચલાવવામાં કુલ ખર્ચ કેટલો કરાયો છે, તે ખર્ચ કયા કયા પ્રકારનો છે અને ક્યાં ક્યાં કરવામાં આવે છે તેવા તેમના એક અન્ય પ્રશ્નના ઉત્તરમાં મ્યુનિ. આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસરે ઢાંકપિછોડો કર્યો છે. આઇસીડીએસ વિભાગે ઉત્તર આપતાં એવી હાસ્યાસ્પદ દલીલ કરી છે કે છેલ્લાં પાંચ વર્ષમાં અલગ અલગ ખર્ચ અલગ અલગ પરિપત્ર અનુસાર થયો છે.
તમામ પરિપત્ર પ્રસ્તુત કરવા શક્ય નથી અને તમામ વિગત મુજબનો ખર્ચ દરેક વર્ષે કરાયો નથી એટલે કુલ ખર્ચની વિગત મળી શકે તેમ નથી, જોકે એક અંદાજ પ્રમાણે દર વર્ષે ભાડા સહિત રૂ.૧૦૦ કરોડથી વધુ રકમ આંગણવાડી ચલાવવા પાછળ ખર્ચાતી હોવા છતાં ગરીબ વિસ્તારમાં કુપોષિત બાળકોનંુ પ્રમાણ ઘટ્યું હોય તેમ લાગતું નથી.