મૅન્યુઅલ સ્કૅવેન્જિન્ગનું નિયમન કરતો કાનૂન 1993માં આવ્યો. પણ તે પૂરતો અસરકારક ન હોવાથી તેનો વિરોધ થતાં 2013નો સુધારો આવ્યો. તે મુજબ મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ તરીકે કામ કરાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત સલામતીનાં સાધનો વિના ગમે તેવી કટોકટીમાં પણ ખાળ કે ગટરની સફાઈ કરાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. તો પણ સુરક્ષાના સાધનો વિના સફાઈકર્મી પાસે ગટરસફાઈ કરાવવામાં આવે છે.
વડોદરામાં સફાઈકર્મીઓ (Workers) ના મોતની કરુણાંતિકાએ ફરી વખત અનેક સવાલો ઊભા કર્યા છે. સફાઈકર્મીઓના મોતનો સવાલ હાલ વર્ણવ્યવસ્થા કરતાં હવે ટેકનોલોજી સાથે વધારે જોડાયેલો છે. ટેક્નોલોજીના સથવારે મંગળને આંબવા તૈયારી કરતાં ભારતમાં જમીનથી પાંચ ફૂટ નીચેની ગટર (drainage) સાફ કરવા કોઈ ટેકનોલોજી નથી. સફાઈકર્મીના મોત એ સ્વચ્છ અભિયાન ચલાવનારા એક દેશની અસ્વચ્છ વાસ્તવિકતા છે. ત્યારે અહીં જોઇશું વડોદરા સફાઈકર્મીમોતની કરુણાંતિકાની પછવાડે દેખાતી સફાઈ અંગેની નીતિની કડવી વાસ્તવિકતાનો આ અહેવાલ.
વડોદરાના ડભોઈ તાલુકાના ફરતી કૂઈ ગામ પાસે આવેલી દર્શન હોટલનો ખાળકૂવો ઉભરાયો તો કેટલાક સફાઈકર્મીઓને તેમાં રોજગારીની તક ઊભી થયેલી લાગી. કામ મળતું હોય તો પછી રાત શું ને દિવસ શું? એ વિચાર સાથે દર્શન હોટના ખાળકૂવાની સફાઈ કરવા મોડી રાત્રે 7 સફાઈકર્મીઓએ ખાળકૂવામાં ઊતર્યા હતાં. જો કે તેમને ક્યાં ખબર હતી કે, અહીં બે પૈસાની રોજગાર નહી પરંતુ સાક્ષાત મોત ઘુમરાઈ રહ્યું છે.
હોટલના ખાળકૂવાની સફાઈ કરવા પિતા-પુત્ર સહિત અન્ય પાંચ સફાઈકર્મીઓ ખાળકૂવામાં જેવા ઊતર્યા કે ઝેરી ગેસનો શિકાર બની ગયા. ખાળકૂવામાં કોણ કોને બચાવે? તેઓ કોઈને બચાવ માટેની બૂમ પણ પાડી શક્યા નહીં. આખરે ઝેરી ગેસમાં ગૂંગળાઈને તમામ સાતેય સફાઈ સૈનિકો મોત સામે જીવનજંગ હારી ગયા. મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ અને હોટલનો માલિક ફરાર થઈ ગયો. ડભોઈ ફાયર બ્રિગેડે ખાસ્સી જહેમત બાદ દોરડા વડે સાત સફાઈકમીઓનાં મૃતદેહ બહાર કાઢ્યાં. તો આ તરફ મૃતકોનાં પરિવારજનો પર આભ ફાટી પડયું.
રાજ્યમાં સફાઈકામ કરતી વેળાએ ગૂંગળામણથી સફાઈકર્મીઓના મોત થવાનો આ પહેલો કિસ્સો નથી. દર વર્ષે દેશના નાના ગામડાઓથી માંડીને મહાનગરોમાં સફાઈકર્મીઓના મોતની ઘટના બનતી જ રહે છે. 2017માં ત્રણસો જેટલા મેન્યૂઅલ સ્કેવેન્જર્સ એટલેકે ગટરમળ સફાઈ કામદારોના મોત થયા હોવાની માહિતી ખુદ લોકસભામાં પ્રાપ્ત થઈ હતી. દૂરની ક્યાં વાત કરો છો.
આ વર્ષે એપ્રિલ માસમાં જ અમદાવાદ પાસે બાવળામાં જ ગટરસફાઈ વખતે 3 સફાઈકર્મીના મોત થયા હતા. તો હજુ ગયા મહિને અમદાવાદના જુહાપુરામાં અજીમફ્લેટ પાસે સેફ્ટિસાધનો વિના ગટરમાં ઉતરતા એક સફાઈકર્મીનું મોત થયું હતું. આ ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ફરી વાર રાજ્યમાં સફાઈકર્મીઓનાં સામૂહિક મોતની ઘટના બની છે. જો કે આ ઘટનામાં સરકારી તંત્રનો સીધી રીતે દોષ નથી. પરંતુ માત્ર થોડા રૂપિયા માટે સફાઈકર્મીઓએ જોખમી ગટરોમાં ઊતરવા મજબૂર થવું પડે તેવી તેમની હાલત માટે વ્યવસ્થાતંત્ર કોઈ રીતે જવાબદાર છે જ.
મૅન્યુઅલ સ્કૅવેન્જિન્ગનું નિયમન કરતો કાનૂન 1993માં આવ્યો. પણ તે પૂરતો અસરકારક ન હોવાથી તેનો વિરોધ થતાં 2013નો સુધારો આવ્યો. તે મુજબ મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ તરીકે કામ કરાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત સલામતીનાં સાધનો વિના ગમે તેવી કટોકટીમાં પણ ખાળ કે ગટરની સફાઈ કરાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. તો પણ સુરક્ષાના સાધનો વિના સફાઈકર્મી પાસે ગટરસફાઈ કરાવવામાં આવે છે. કેમ કે કાયદાનું અમલીકરણ કરાવનાર સત્તાતંત્ર સફાઈકર્મીઓની સુરક્ષાપ્રત્યે ઘોર ઊપેક્ષા સેવી રહ્યા છે.
કાયદો બનાવ્યા બાદ સરકાર દ્વારા સફાઈ દરમિયાન સુરક્ષા સાધનોની યાદી બહાર પાડવામાં આવી હતી. તેમાં હૅલ્મેટ, ગૅસ માસ્ક અને મૉનિટર, એરલાઇન બ્રીશથગ ઍપેરેટસ, સર્ચ લાઇટ, સલામતી પટ્ટા અને ગૉગલ્સ, ગમ-બૂટ, ફુલ બૉડી વેડર સૂટ સહિત કુલ ચાળીસેક વસ્તુઓનો સમાવેશ થાય છે. સંપૂર્ણ સલામતી આપનારો આ સૂટ ચાળીસેક હજાર રૂપિયાની કિંમતનો હોય છે. પરંતુ અહીં તો સો-બસો રૂપિયા માટે ય કપડાં કાઢીને ગટરમાં ઊતરવા તૈયાર થઈ જાય તેવા લોકો હોય તો પેલું સૂટ વસાવવા કોણ ખર્ચ કરે? તો બીજ તરફ નેતાઓનાં સુરક્ષા કવચ માટે કરોડોની જોગવાઈ છે, પણ સફાઈકર્મીઓનાં સલામતીસૂટ માટે કોઈ જોગવાઈ નથી...પરિણામે આવી કરુંણાતિકાઓ બાદ વળતર આપી આખી ઘટનાને નવી કરુણાંતિકા સુધી વિસારે પાડી દેવામાં આવે છે.