વડોદરાના ડભોઈની હોટલ દર્શન હોટલમાં 7 શ્રમિકોના મોત આ મામલે મુખ્યમંત્રી રાહત નિધી ફંડમાંથી સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરાઈ છે. મહત્વનુ છે કે, હોટલમાં ગેસ ગળતરના કારણે 7 શ્રમિકોના મોત થયા છે. શ્રમિકોના મોત થતા હોટલ માલિક પણ ફરાર છે. આ મામલે સીએમ રૂપાણી દ્વારા હોટલ માલિક સામે કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.
ડભોઈની દર્શન હોટલમાં ખાડકૂવામાં 7 શ્રમિકોના મોતના મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલાને લઇ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર એક્શનમાં આવી ગયા છે. દિલીપ ઠાકોરે કહ્યું કે, જે પણ દોષિત હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરાના ડભોઈ તાલુકાના ફરતીકુઈ નજીક આવેલી દર્શન હોટલમાં ગઈ રાતે 7 શ્રમિકોના મોત થયા છે. ઝેરી ગેસના કારણે મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તો શ્રમિકોનમા મોત મામલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.
મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલી દર્શન હોટલના ખાળકૂવાની સફાઇ કરવા ઉતરેલા પિતા-પુત્ર સહિત 7 મજૂરોના મોત નીપજ્યાં હતા. ઝેરી ગેસના કારણે મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વડોદરા અને ડભોઇ ફાયર બ્રિગેડના લાશ્કરોએ 6 કલાકની ભારે જહેમતબાદ દોરડાથી મૃતદેહ બહાર કાઢ્યા હતા.
ખાળકૂવાની સફાઇ કરતા 7 મજૂરો ડૂબી જતા હોટલ માલિક હસન અબ્બાસે તેઓના બચાવ માટે પ્રયાસ કરવાને બદલે પોતાની હોટલ બંધ કરીને ફરાર થઇ ગયો હતો. પરિણામે મોતને ભેટેલા થુવાવી ગામના લોકોમાં હોટલ માલિક સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. થુવાવી ગામના લોકોને બનાવની જાણ થતાં હોટલ ઉપર ધસી આવ્યા હતા. અને હોટલ માલિક સામે રોષ ઠાલવ્યો હતો
આ મામલે હોટલના માલિક હસન અબ્બાઝ ઈસ્માઈલ સામે ડભોઈ પોલીસ સ્ટેશનમાં 304ની કલમ હેઠળ ફરિયાદ થઈ છે. મળતી માહિતી મુજબ રાતે સાડા બાર વાગ્યાની આસપાસ હોટલ બંધ થયા બાદ ખાળકુવાની સફાઈ માટે એક શ્રમિક અંદર ઉતર્યો હતો. બાદમાં તે કામગીરી દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો.
એકને બચાવતાં અન્યના મોત:
આ શ્રમિકને બચાવવા માટે અન્ય શ્રમિકો પણ ખાળકુવામાં અંદર ઉતર્યા પણ ઝેરી ગેસના કારણે તેઓનું પણ મોત થયું. ખાળકુવામાં ઝેરી ગેસના કારણે ગૂંગળાવાથી તેઓનાં મોત થયા છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ડભોઈ ફાયર વિભાગે છ કલાકની ભારે જહેમત બાદ શ્રમિકોનાં મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારે હવે પોલીસે ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી મુજબ હોટલની સામે રહેતા રમણીક મકવાણા નામના યુવકે કુવા મામલે ફરિયાદ કરી હતી. ખાણકુવો ગેરકાયદે હોવાની અને દુર્ગંધ મારતી હોવાની સ્થાનિકોએ મળીને સીએમ રૂપાણીને ઓનલાઈન ફરિયાદ કરી હતી. સાથે જ સ્થાનિકોએ વડોદરા કલેકટર અને નાયબ કલેકટરને પણ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અને તંત્રની નિષ્ક્રીય કામગીરીના કારણે 7 લોકોનો ભોગ લેવાયો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.