જમ્મુ-કાશ્મીરના પુલવામા સ્થિત જદુરા વિસ્તારમાં શુક્રવારે મોડી રાતે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીને ઢાળી દીધા હતા અને આ એન્કાઉન્ટરમાં એક જવાન પણ શહીદ થયો છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી એક એકે-૪૭ રાઇફલ અને બે પિસ્તોલ મળી આવી હતી.
છેલ્લા ર૪ કલાકમાં સાત આતંકી માર્યા ગયા
શોપિયાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદી વચ્ચે અથડામણ થઇ
હજુ પણ આતંકીઓ છુપાયા હોવાની સંભાવના
આ લખાઇ રહ્યું છે ત્યારે અથડામણ હજુ જારી છે. પોલીસ અને સુરક્ષાદળોને આશંકા છે કે હજુ પણ બે-ત્રણ આતંકી આ વિસ્તારમાં છુપાયેલા છે અને તેમના માટે સર્ચ ઓપરેશન જારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે બપોરે સુરક્ષાદળોએ શોપિયાંના કિલુરા વિસ્તારમાં ચાર આતંકીને ઠાર માર્યા હતા અને એક આતંકીની ધરપકડ કરી હતી. આમ, છેલ્લા ર૪ કલાકમાં સાત આતંકી માર્યા ગયા હતા. જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદી વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ચાર આતંકવાદી ઠાર માર્યા હતા, જ્યારે એક આતંકવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય સુરક્ષાદળોને બાતમી મળી હતી કે કેટલાક આતંકીઓ પુલવામાના જદુરા વિસ્તારમાં છુપાયેલા છે. આ આતંકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે. બાતમીના આધારે સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસને સાથે રાખી સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી. આ દરમિયાન એક ઘરમાં આતંકી પ્રવૃત્તિ જોવા મળી હતી.
ત્યારબાદ સુરક્ષાદળોએ આતંકીઓને હથિયાર ફેંકીને બહાર આવવાનું કહ્યું હતું. ત્યાર બાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં ભારતીય સુરક્ષાદળોએ પણ ફાયરિંગ કર્યું હતું. મળેલી માહિતી પ્રમાણે ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયા હોવાની સંભાવના હોવાથી સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
કાશ્મીર પોલીસના આઈજીપી વિજય કુમારના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે શુક્રવારે શોપિયાંના કિલુરા વિસ્તારમાં થયેલી અથડામણમાં ચાર આતંકી માર્યા ગયા હતા. આ દરમિયાન એક આતંકીને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. એવા પણ સમાચાર મળ્યા છે કે માર્યા ગયેલા આતંકીમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો પૂર્વ જવાન અને અલ-બદર સંગઠનનો જિલ્લા કમાન્ડર પણ હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ પુરજોશમાં ચાલી રહ્યું છે અને ખૂંખાર આતંકીઓ મરાઇ રહ્યા છે, જેમાં ૧૭ અને ૧૮ ઓગસ્ટે બારામુલાના કરીરી વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન ત્રણ આતંકવાદીને સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા, જેમાં લશ્કરના બે કમાન્ડર સજ્જાદ ઉર્ફે હૈદર અને ઉસ્માન સામેલ હતા. હૈદર બાંદીપોરા હત્યાઓનું મુખ્ય કાવતરું ઘડનારો હતો. તે યુવાનોને આતંકી સંગઠનમાં દાખલ કરતો હતો. વિદેશી આતંકી ઉસ્માને ભાજપ નેતા વસીમ બારી અને તેના પિતા તથા ભાઈની હત્યા કરી હતી.