બેકાબૂ બનેલા કોરોના વાયરસના સંક્રમણની ગતિ અટકાવવા માટે સમગ્ર દેશમાં ત્રીજી વખત લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉનને કારણે તમામ ધંધા-રોજગાર બંધ પડ્યા છે અને મોટાભાગના લોકો ઘરમાં જ પુરાઇ રહેવા માટે મજબૂર બન્યા છે. ત્યારે હવે સૌથી વધુ સ્થિતિ ખરાબ બની હોય તો તે છે વ્યસન કરતા લોકોની. આ અંગે એક કાઉન્સેલિંગ કરી તારણ કાઢવામાં આવ્યું છે.
ગુજરાતના 7 મનોવિજ્ઞાનના અધ્યાપકોનો CMને પત્ર
45 હજારથી વધુ લોકોનું કાઉન્સેલિંગથી તારણ
લોકડાઉન સિવાય અન્ય વૈકલ્પિક યોજના બનાવવા માંગ
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મનોવિજ્ઞાનના 7 પ્રોફેસરોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે, 45 હજારથી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરી તારણ કાઢવામાં આવ્યું છે કે, ગુજરાતના લોકોની ધીરજ ખુટી છે. લોકડાઉન સિવાય કોઇ વૈકલ્પિક યોજના બનાવવા માંગ છે.
વ્યસન કરતા લોકોની માનસિક સ્થિતિ કથળી
ખાસ કરીને વ્યસન કરતા લોકોની સ્થિતિ વધારે કથળી છે કારણ કે વ્યસન એ મનોશારીરિક બીમારી છે. તેની સ્વાસ્થ્ય પર અસર પડે છે. પરંતુ વ્યસનની વસ્તુ ન મળવાથી માનસિક અને શારીરિક અસરો ખૂબ જ ભયાનક આવી શકે છે. ત્યારે આ મામલે તાત્કાલિક અસરથી આ બાબતની ગંભીરતાથી નોંધ લઇને આ અંગે ઘટતું કરવામાં આવે.
શું લખ્યું છે પત્રમાં ?
વિશ્વભરમાં જે મહામારી આવી પડી છે તેમાં આ સંકટ સમયમાં અમારી ફરજ સમજી અમે 10 થી 25 વર્ષના અનુભવી 150 અધ્યાપકો અને પ્રોફેશનલ સાયકોલોજીસ્ટના ગ્રુપ GPIH (Gujarat Psychological Intervention Helplines to Prevent COVID-19) દ્વારા ગુજરાતભરમાં સરકારી, અર્ધસરકારી અને સેવાભાવી સંસ્થાઓ મળીને 10 થી વધુ માનસિક સ્વાસ્થ્ય કાઉન્સિલિંગ હેલ્પલાઇન શરુ કરી છે.
GPIH દ્વારા 45,000થી વધુ લોકોનું કાઉન્સિલિંગ કરાયું
GPIH દ્વારા 45,000થી વધુ લોકોને કાઉન્સિલિંગ કરી ચૂક્યા છે. જેમાં લોકોની માનસિક સ્થિતિને ચિંતાજનક સ્વરૂપે પહોંચી છે. અમારી કોર ટીમે માનસિક આરોગ્ય સંદર્ભે માર્ચ મહિનાથી અત્યાર સુધીના અભ્યાસમાં લોકડાઉન સંદર્ભે નીચેની ગંભીર જણાય છે જે બાબતે આપ યોગ્ય નિર્ણય લઇ ઘટતું કરશો.
સરકારને સૂચવેલ સૂચન
લૉકડાઉન સિવાયની કોઈ વૈકલ્પિક યોજના બનાવવી જોઈએ.
વ્યસન મનોશારીરિક બીમારી છે તેની સ્વાસ્થ્ય પર ખુબ ખરાબ અસર પડે છે તે સત્ય છે પણ વ્યસનની વસ્તુ ન મળવાથી માનસિક અને શારીરિક અસરો ખૂબ જ ભયાનક આવતી હોય છે. જેથી રીહેબીલીટેશન સેન્ટર અને વ્યસનમુક્તિને કેન્દ્રની છૂટછાટ આપવી જોઈએ.
સરકાર પર હજુ લોકોને ભરોસો છે ત્યાં સુધીમાં છૂટછાટ આપવી જરૂરી, બંધન માનસિક સ્થિતિને બગાડી શકે છે.
1100 હેલ્પલાઇન ઇનકમિંગ સર્વિસ છે, તે સિવાય પણ આઉટગોઇંગ કોલ્સ કરી લોકોને માનસિક સધિયારો પૂરો પાડે તેવી વ્યવસ્થા હિતાવહ છે.
મોટાપ્રમાણમાં મનોવૈજ્ઞાનિકોને હેલ્થ ડીપાર્ટમેન્ટ સાથે રાખી આ મહામારી સામે લડવું જોઈએ.