ગુજરાત માટે આજે રવિવારનો દિવસ અપશુકનિયાળ સાબિત થયો છે. કારણ કે આજે ચાર અલગ-અલગ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 23થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજકોટ: અકસ્માતમાં 6 વ્યક્તિને ઈજા, એકનું મોત
ત્યારે રવિવારે મોડી સાંજે જેતપુર મંડલીકપુર નજીક ગમખ્વાર અકસ્માત સજાર્યો હતો. છકડો રિક્ષા અને ટ્રક ધડાકાભેર અથડાયા હતા જેમાં છકડો પલટી ખાઈને બાજુના ડિવાઈડર સાથે ટકરાયો હતો. ખતરનાક અકસ્માતમાં 6 વ્યક્તિને ઈજા, એકનું મૃત્યુ થયુ હતું. ઈજાગ્રસ્ત 3 વ્યક્તિઓને જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામા આવતા ફરિયાદ નોંધી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.
મહેસાણા-અમદાવાદ હાઈવે પર દુર્ઘટના: 2 મહિલાઓના મૃત્યુ
મંડાવી ગામ નજીક કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પુરપાટ ઝડપે જતી કાર અથડાયા બાદ પલટી ગઈ. આ અકસ્માતમાં કારસવાર 2 મહિલાઓના મૃત્યુ થયા હતા, જ્યારે 2ને ઈજા પહોંચી હતી.
વડોદરાના જામ્બુવા બ્રિજ પર હિટ એન્ડ રનઃ મહિલાનું મૃત્યુ
વડોદરાના જામ્બુવા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં એક અજાણ્યા વાહનચાલકે બાઈક સવાર દંપતિને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં મહિલાના પતિનો આબાદ બચાવ થયો છે. અકસ્માત સર્જાતા હાઈવે પર 10થી 15 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો. તમને જણાવી દઇએ કે, આ અકસ્માતમાં વાહનચાલક ફરાર થઇ ગયો છે.
કાણોદર નજીક બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 3 લોકોના મોત
બીજી બાજુ આજે પાલનપુરના કાણોદર નજીક એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે વહેલી સવારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત અને 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની વિગત એવી છે કે, કાણોદર નજીક ઉભેલી એક ટ્રક પાછળ રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસ ઘૂસી જતા બસમાં સવાર 3 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં 15 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે, મોતનો આંક હજુ વધે તેવી શક્યતાઓ છે.પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઇએ કે, બસ રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે આખરે કેવી રીતે એક ઉભેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી ગઈ તે એક તપાસનો વિષય છે. આખરે એવું શું થયું કે લક્ઝરી બસે ઉભી રહેલી ટ્રકને પાછળથી ટક્કર મારી દીધી.