ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના 7 MLA ગમે ત્યારે ભાજપમાં જોડાય તેવી શક્યતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની આફત
સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક MLA ગમે ત્યારે કરી શકે છે કેસરિયા
ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના 7 MLA કેસરિયા કરવાના મૂડમાં
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે એ પૂર્વે ભાજપમાં શરૂ કરાયેલા કોંગ્રેસના ભરતીમેળામાં હાર્દિક પટેલ બાદ હવે કેટલાંક પાટીદાર MLA ઉપર પણ ફોકસ કરાઇ રહ્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની આફતના એંધાણ દેખાઇ રહ્યાં છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLA ગમે ત્યારે કેસરિયા કરે તેવી શક્યતા. પાટીલના મિશન 182ને લઇ કોંગ્રેસના કેટલાંક MLA પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના 7 MLA કેસરિયા કરવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે.
પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ
4 પાટીદાર સહિત સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જઇ શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLAને ટિકિટની અથવા તો સાચવી લેવાની ઓફર અપાય તેવી શક્યતા. જો કે, ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે જ આ પેચ ફસાયો છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ છે.
ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે ધારાસભ્યોનો પેચ ફસાયો
તદુપરાંત 182 બેઠક જીતવા માટે ભાજપ હાઈકમાન્ડે શક્ય તમામ બાંધછોડ કરવા પ્રદેશ નેતાઓને છુટ્ટો દોર આપી દીધો છે. પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર ધારાસભ્યો આગામી ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપની ટિકિટની ખાત્રી માંગી રહ્યાં હોવાથી અમુક ધારાસભ્યોનો પેચ ફસાયો છે. તો સામે બીજી બાજુ ટિકિટ નહીં લેનાર કોંગ્રેસના ધારાસભ્યને અન્ય રીતે ‘સાચવી’ લેવા માટે પણ ‘ગોઠવણ’ કરવામાં આવી રહી છે.
સૌ કોઇ ધીરે-ધીરે ભાજપમાં જોડાય તે માટે હાર્દિકને જ સક્રિય કરાયો!
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હાર્દિક પટેલના જોરે ચૂંટાયેલા અને એક સમયના તેના જ સાથીદારો ધીરે-ધીરે ભાજપમાં જોડાય તે માટે હાર્દિકને જ અંદરખાને સક્રિય કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ સમગ્ર ગેઈમ પ્લાન એક બિનરાજકીય પાટીદાર નેતાના આશિર્વાદથી ચાલી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.