હળવદમાં સોલ્ટ કંપનીમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દીવાલ ધરાશાયી થતાની ઘટનામાં કુલ 12 લોકોમાંથી એક જ પરિવારના 7 લોકોના મૃત્યુ થયા છે.
સગર્ભા શીતલબેન સહિત એક જ પરિવારના 7 લોકોના મૃત્યુ
મૃતક સગર્ભા શીતલબેનના પેટમાં 7 મહિનાનો ગર્ભ હતો. GIDCના મફતિયાપરા રહેતા આ પરિવારના 7 લોકોની અંતિમ યાત્રા નીકળી હતી. સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવાર અને સંબધીઓના હૈયાફાટ રૂદનથી કરૂણ દ્રશ્યો સજાર્યા હતા. કોળી સમાજના લોકોએ આ ઘટના અંગે દૂખ વ્યક્ત કર્યું હતું. અને પરિવારને આ દૂખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી.ગમગીનીના વાતાવરણમાં મોડી રાત્રે 7 મૃતક લોકોની અર્થી ઉઠી હતી. પરિવારના સભ્યોના આક્રંદથી અંતિમ યાત્રામાં જોડાયેલા તમામ લોકોની આંખો ભીંજાઇ ગઈ હતી.
3 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ
સીએમ ભૂપેન્દ્ર પેટેલે મુલાકાત લીધા બાદ નિવેદન આપતા કહ્યું છે કે મોરબીના હળવદમાં 12 શ્રમિકોના મોત મુદ્દે સરકારે તપાસનો આદેશ આપી રિપોર્ટ માગ્યો છે. ઘટના અંગે 3 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકોને અપાઇ રહેલી સારવાર અંગે પણ સિવિલ હોસ્પિટલમાં જઇને વિગતો જાણી હતી. તેમણે આ ઇજાગ્રસ્તોને જરૂર જણાય વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવા પડે તો તે માટેની જરૂરી વ્યવસ્થા કરવા જિલ્લા તંત્રને સૂચનાઓ આપી હતી.
રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત
આ દુર્ઘટનાને લઇને રાજ્ય સરકારે મૃતકોના પરિવારને રૂપિયા 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે. તો કેન્દ્ર સરકાર પણ મૃતકોને 2-2 લાખ રૂપિયાની સહાય આપશે. તો ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવામાં આવશે.
કાટમાળ નીચે દટાયેલ શ્રમિકોને કાઢવા JCBની મદદ લેવાઇ
મહત્વનું છે કે સાગર સોલ્ટ કંપનીમાં દિવાલ ધસવાથી દુર્ઘટના એટલી ભયવાહ હતી કે 12 લોકો તેની નીચે ચગદાઇ ગયા હતા. 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. કાટમાળ નીચે દટાયેલ શ્રમિકોને કાઢવા JCBની મદદ લેવાઇ હતી. કલેક્ટર અને SP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યો હતો જે બાદ તાબડતોબ રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ દુર્ઘટનાને લઇને PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
મોરબીમાં દિવાલ ધરાશાયી થવાથી સર્જાયેલી દુર્ઘટના મુદ્દે PM મોદીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ દુર્ઘટના હૃદયને હચમચાવી દે તેવી છે. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના.કેન્દ્ર સરકાર મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
અમિત શાહે શોક વ્યક્ત કર્યો
ગુજરાતના મોરબીમાં અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સાથે વાત કરી છે, વહીવટીતંત્ર રાહત પહોંચાડવામાં વ્યસ્ત છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી તેમની સારવાર કરવામાં આવી રહી છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.