આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષા. ત્યારે ગુજરાતી માધ્યમનો વ્યાપ વધારવાની વાતો વચ્ચે ગુજરાતી શાળાઓ મરણ પથારીએ હોય તેવો ઘાટ સર્જાયો છે. વડોદરાની 7 શાળાઓને તાળા લાગ્યા.
વડોદરાની 7 ગુજરાતી માધ્યમની શાળાઓને તાળા લાગ્યા
અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની મા-બાપની ઘેલછાથી ગુજરાતી શાળા બંધ
અપૂરતા વિદ્યાર્થીઓને લઇ શાળા સંચાલકોએ સ્કૂલો બંધ કરી
એક તરફ જ્યાં સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિમાં ગુજરાતી માધ્યમને અને માતૃભાષાને પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતીઓ જ ગુજરાતી ભાષાની અવગણના કરવામાં આવી રહી હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. માર્ચ મહિનામાં અમદાવાદની 16 ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરવાની મંજૂરી માગવામાં આવી હતી. ત્યારે હવે વડોદરાની 7 ગુજરાતી શાળાઓ બંધ થઇ છે. DEO કચેરીને દરખાસ્ત કરી શાળા બંધ કરવા મંજૂરી માંગી હતી. જીવન ભારતી સ્કૂલ સંચાલકોએ શાળા બહાર બોર્ડ લગાવ્યું છે. જે નોટિસ બોર્ડ પર સ્કૂલ બંધ કર્યાની વાલીઓને જાણકારી આપી છે. 7 શાળાના વિદ્યાર્થીઓને નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
વડોદરામાં ગુજરાતી માધ્યમની કઇ શાળા થઇ બંધ?
જીવન ભારતી સ્કૂલ, કારેલીબાગ
શ્રી વસંત વિદ્યાલય, રાવપુરા
ઓમ વિદ્યાલય, ગોરવા
ન્યુ જીવન ચેતના, છાણી
ગૌતમ પ્રાથમિક શાળા, દિવાળીપુરા
સૌરભ વિદ્યાલય, ઓ.પી રોડ
આત્મન વિદ્યાલય, ઓ.પી રોડ
શા માટે બંધ થઇ રહી છે ગુજરાતી શાળાઓ ?
ગુજરાતી શાળાઓમાં પૂરતા પ્રમાણમાં નથી હોતા શિક્ષકોઃ વાલી મંડળ
મુખ્યત્વે શાળાનો નિભાવ ખર્ચ, વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાના કારણે શાળાઓ બંધ થઇ રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાની વાત વચ્ચે ગુજરાતી માધ્યમની એક બાદ એક શાળાઓ બંધ થવા લાગી છે. ત્યારે ફરી એક વખત અંગ્રેજીના ક્રેઝ સામે ગુજરાતી ભાષા મરણપથારીએ હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જોકે વાલી મંડળે કહ્યું કે, ગુજરાતી શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી હોતા, જેને લઇને બાળકોના અભ્યાસ પર અસર પડે છે, તેથી વાલીઓ બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો નિર્ણય લેતા હોય છે.
અપૂરતા વિદ્યાર્થીઓને લઇને સ્કૂલો બંધ થઇ!
આ શાળાઓને ગુજરાતી માધ્યમમાં પૂરતા વિધાર્થી મળતા નથી તેવું કારણ સામે ધરવામાં આવ્યુ છે. વડોદરાની 7 ગુજરાતી માધ્યમની શાળાઓને પૂરતા વિદ્યાર્થીઓ ન મળતાં સંચાલકોએ શાળાને તાળા લાગ્યા છે.
બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની મા-બાપની ઘેલછા!
અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની મા-બાપની ઘેલછાથી ગુજરાતી શાળા બંધ થઇ રહી છે. અંગ્રેજી શાળાઓનો વધતો જતો વ્યાપ અને તેમાં પણ વાલીઓની અંગ્રેજી ભાષા તરફની આંધળી દોટ ગુજરાતી ભાષાની શાળા પર જોખમ બની રહી છે. વાલીઓ બાળકોનું ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમમાં એડમિશન લઇ રહ્યા છે.
આ અંગે શાળાઓનું શું કહેવું છે ?
RTEમાં વાલીઓ ઇંગ્લિશ લખી દે છે અને મોટી સ્કૂલોમાં જતા રહે છેઃ જીવન ભારતી સ્કૂલ પ્રિન્સિપાલ
વડોદારના કારેલીબાગમાં આવેલી ગુજરાતી માધ્યમ જીવન ભારતી સ્કુલના પ્રિન્સિપાલ સાવિત્રીબેન વ્યાસે આ અંગે કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે તે હકિકત ખરી, પરંતુ 340 વિદ્યાર્થીઓ હાલની તારીખે શાળામાં છે. ગત વર્ષ પહેલા ધોરણમાં ઓછા બાળકો આવ્યા હતા, 17 બાળકો જ આવ્યા હતા. પરંતુ RTEમાંથી જ્યારે ફોર્મ ભરવામાં આવે છે ત્યારે વાલી ઇંગ્લિશ લખી દે છે, મોટી સ્કૂલોમાં જતા રહે છે. અમારે 340 વિદ્યાર્થીઓતો હતા જ પરંતુ અમારે આ બિલ્ડિંગ જ ઉતારવાનું છે તો અમે બાળકોને અમે ક્યાં બેસાડીએ.
સરકારી કરતા પ્રાઇવેટ સ્કૂલોમાં એજ્યુકેશન સારુ મળે તે માન્યતા ખોટીઃ સ્વામી વિવેકાનંદ સ્કૂલના આચાર્ય
ગુજરાતી માધ્યમ સ્વામી વિવેકાનંદ સ્કૂલના પ્રિન્સિપાલ આશિષ પાઠકે કહ્યું કે, ગુજરાતી માધ્યમમાં આપણે સૌ ભણેલા છીએ. અંગ્રેજીમાં ભણે તે જ સારુ ભણે તવું નથી. જો વિદ્યાર્થી પોતે અંદરથી ઇચ્છે તો કોઇપણ માધ્યમમાં ભણે તો આગળ આવવાનો જ છે. સરકારની નીતિ હોય કે કંઇપણ હોય. તેને કારણે અંગ્રેજી માધ્યમની શાળાઓ વધી રહી છે, પ્રાઇવેટ સંસ્થાઓ વધી રહી છે. સરકારી કરતા પ્રાઇવેટ સ્કૂલોમાં એજ્યુકેશન સારુ મળે છે તેવી વાલીઓની આ માન્યતા ખોટી છે. ગુજરાતી માધધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓ પણ ખુબ આગળ આવેલા છે.
અમદાવાદની 16 ગુજરાતી માધ્યમની શાળાઓને લાગી ચૂક્યા છે તાળા
વડોદરા અગાઉ માર્ચ મહિનામાં અમદાવાદ શહેરની 16 ગુજરાતી શાળાઓઓ બંધ કરવા માટેની અરજી જિલ્લા શિક્ષણ અધિકારીને કરી હતી. આ તમામ શાળાઓ ગુજરાતી માધ્યમની છે.
મહત્વનું છે કે, રાજ્યમાં જેટલી પણ શાળાઓ બંધ કરવાની અરજીઓ મળી રહી છે તે તમામ શાળાઓ ગુજરાતી માધ્યમની હોય છે. ત્યારે કેવી રીતે શાળાઓને બંધ થતી અટકાવી શકાય તે દિશામાં વિચારવાની અને અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવાની જરૂર લાગી રહી છે.