દ્વારકા જિલ્લામાં લગભગ 60.10 ટકા મતદાન નોંધાયું છે જ્યારે ખંભાળીયામાં બેઠક પર 61.29 ટકા મતદાન થયું છે.
દ્વારકામાં લગભગ 60.10 ટકા મતદાન નોંધાયું
ખંભાળીયામાં બેઠક પર 61.29 ટકા મતદાન થયું
ખંભાળિયા બેઠક પર કોનો રહેશે દબદબો?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022નું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં સૌથી વધુ ચર્ચાથી બેઠક પૈકીની એક બેઠક ખંભાળિયા છે જ્યાં આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM કેન્ડીડેટ ઈસુદાન ગઢવીને આ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. બીજી બાજુ જામ ખંભાળિયા બેઠક પરથી ભાજપે મુળુભાઈ બેરાને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે વિક્રમ માડમને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર આજે મતદાન શાંતિપ્રિય માહોલમાં થઈ ગયું છે. દ્વારકા જિલ્લામાં લગભગ 60.10 ટકા મતદાન નોંધાયું છે, પાપ્ત માહિતી અનુસાર ખંભાળીયામાં 61.29 ટકા અને દ્વારકામાં 58.90 ટકા મતદાન નોંધાયું છે. ઈસુદાન ગઢવી,મુળુભાઈ બેરાન અને વિક્રમ માડમનું રાજકીય ભવિષ્ય EVMમાં કેદ થયું છે.
ખંભાળિયા બેઠકની વિશેષતા
જામ ખંભાળિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના તાલુકા ખંભાળિયા તાલુકામાં આવેલું નગર છે જે જિલ્લા તેમજ તાલુકાનું મુખ્યમથક છે. આ સાથે જ ખંભાળિયા બેઠક ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠકો પૈકી 81 નંબરની બેઠક છે. ખંભાળિયામાં જાતિ અને ધર્મના આધારે મુખ્ય સમુદાયો આહીર, જાડેજા, મુસ્લિમ, ચારણ, રબારી, ભરવાડ અને મહેર છે. આ જાતિના મતદારોનો પ્રભાવ અહીં વધુ જોવા મળે છે.
2017માં વિક્રમ માડમનો થયો હતો વિજય
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં જામ ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના કાળુભાઈ નારણભાઈ ચાવલા અને કોંગ્રેસના વિક્રમભાઈ અરજણભાઈ માડમ મેદાનમાં હતા. આ બેઠક પર ભાજપના વિક્રમ માડમનો વિજય થયો. વર્ષ 2012 પૂનમબેન માડમ ભાજપની ટિકિટ પરથી જીત્યા હતા. ભાજપના પૂનમ માડમ લોકસભામાં ગયા બાદ અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. 2014ની વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના આહિર મેરામણ આ બેઠક પરથી જીત્યા હતા. 1995થી 2012 સુધી આ બેઠક ભાજપના કબજામાં હતી.
કોણ છે ઈસુદાન ગઢવી?
ઈસુદાન ગઢવી કે જેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા. ઈસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ દૂરદર્શનનાં 'યોજના' નામના કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે તેઓ ETV ગુજરાતીમાં જોડાયા હતા. 2007થી 2011 દરમિયાન તેઓએ પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 દરમ્યાન ઈસુદાન ગઢવીએ ન્યુઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. બાદમાં 2015માં VTVમાં તેઓ ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા.