શહેરની સ્થાપનાને આજે ૬૦૯ વર્ષ પૂર્ણ થયાં છે. તા. ૨૬ ફેબ્રુઆરી, ૧૪૧૧એ અમદાવાદની સ્થાપના અહમદશાહ બાદશાહે કરી હતી
રાજા કર્ણદેવથી કર્ણાવતી અને સુલતાન અહમદશાહના નામથી અહમદાબાદ
અમદાવાદને હવે કર્ણાવતી તરીકે જાહેર કરાશે
અહમદાબાદ નામનો સ્વીકાર કરતાં ભારે વિવાદ ઊઠ્યો
અમદાવાદ ગુજરાતનું ગૌરવ છે અને અમદાવાદીઓ આ કહે છે કર્ણાવતી કહો કે આશાવલ પણ અમારૂ અમદાવાદ અમને જાનથી વહાલુ છે.
શહેરની સ્થાપનાને આજે ૬૦૯ વર્ષ પૂર્ણ થયાં છે. તા. ૨૬ ફેબ્રુઆરી, ૧૪૧૧એ અમદાવાદની સ્થાપના અહમદશાહ બાદશાહે કરી હતી, જોકે અહમદાબાદથી અપભ્રંશ થઈને અમદાવાદ તરીકે ઓળખાતા આ શહેરનાં બે-ત્રણ અન્ય જૂનાં-પુરાણાં નામ પણ છે, જેમ કે રાજનગર, આશાવલ અને કર્ણાવતી નામ એક અથવા બીજા સમયે પ્રચલિત રહ્યાં છે, જોકે હવે મોટેરા સ્ટેડિયમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અપાતાં તેમજ આગામી વિધાનસભામાં લવ જેહાદ સામે કડક કાયદો લાવનારી ભાજપ સરકાર સમક્ષ કર્ણાવતીનો મુદ્દો પણ નવેસરથી ઊઠ્યો છે.
અમદાવાદને હવે કર્ણાવતી તરીકે જાહેર કરાશે
આમ તો હરિની જેમ આપણા શહેરની ઓળખાણ માટે કોઈ પણ નામ કાફી છે, પરંતુ તાજેતરમાં યોજાયેલી મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ખુલ્લેઆમ હિન્દુત્વની ભાવના જગાડવી તેમજ રેલીઓમાં 'જય શ્રીરામ'નો જયઘોષ કરનાર ભાજપને ચૂંટણી જીતવામાં 'રામ' ફળ્યા પણ છે. આને જોતાં કર્ણાવતીનો નામોલ્લેખ વારંવાર પોતાના ભાષણમાં કરતા ભાજપના નેતાઓ અમદાવાદને હવે કર્ણાવતી તરીકે જાહેર કરશે તેમ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
અહમદાબાદ નામનો સ્વીકાર કરતાં ભારે વિવાદ ઊઠ્યો
આમ તો ગત તા. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૧એ મ્યુનિ. તંત્ર દ્વારા અહમદાબાદની સ્થાપનાનાં ૬૦૦ વર્ષની દમામભેર ઉજવણી કરાઈ હતી તે વખતે ભાજપના તત્કાલીન શાસકોએ સરળતાથી કર્ણાવતીના બદલે અહમદાબાદ નામનો સ્વીકાર કરતાં ભારે વિવાદ ઊઠ્યો હતો.
કર્ણાવતીપ્રેમી ભાજપના અનેક નાના-મોટા નેતાઓ તેમનાં લેટરપેડ કહો કે વિઝિટિંગકાર્ડમાં પણ અમદાવાદના ફલાણા-ઢીંકણા સેલ કે વોર્ડના પ્રમુખ કે મંત્રી તરીકે ઓળખ આપવાના બદલે કર્ણાવતી મહાનગરનો ઉલ્લેખ કરતા આવ્યા છે. તાજેતરમાં ખાનપુરમાં ભાજપના વિજયોત્સવ દરમિયાન મંચસ્થ મહાનુભાવોએ પણ તેમના ભાષણમાં અમદાવાદના બદલે કર્ણાવતી મહાનગરનો ઉલ્લેખ કર્યો હતો.
૧૯૯૦માં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનો ઠરાવ કરાયો
જોકે ભાજપના શાસનકાળમાં છેક વર્ષ ૧૯૯૦માં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનો ઠરાવ કરાયો જ છે, પરંતુ તત્કાલીન સત્તાધીશો માત્ર કાગળ પર ઠરાવ કરી તેને હકીકતમાં અમલમાં મૂકવાની હિંમત દાખવી શક્યા નહોતા. આ ઠરાવને રાજ્ય સરકારની મંજૂરી બાદ કેન્દ્રમાં મોકલી નામકરણની સંમતિ મેળવવાની દિશામાં ભાજપના તત્કાલીન શાસકોએ ઉદાસીનતા દાખવી હતી, જોકે કે બે વર્ષ અગાઉ દિવાળીના તહેવારોમાં ફરી કર્ણાવતીનો મુદ્દો ગાજ્યો હતો. તે સમયે પહેલાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ત્યાર બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરાશે તેવી જાહેરાત કરી હતી, જોકે અમદાવાદના નામકરણનો મામલો ભારે ગરમાતાં અમુક લોકોએ શહેરનું નામ આશાવલ રાખવાનો પણ આગ્રહ રાખ્યો હતો.
રાજા કર્ણદેવથી કર્ણાવતી અને સુલતાન અહમદશાહના નામથી અહમદાબાદ
બીજી તરફ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો તેના અહમદાબાદ નામના કારણે મળ્યો હોવાની બાબત પણ તે સમયે ચર્ચાસ્પદ બની હતી, જોકે શહેરને યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૭માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો તેના પ્રાચીન સ્થાપત્યના આધારે અપાયો હતો. ઉપરાંત તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરીને યુનેસ્કોમાં મોકલાવાયેલા ડોઝિયરમાં આ શહેર આશા ભીલના કારણે આશાવલ, રાજા કર્ણદેવથી કર્ણાવતી અને સુલતાન અહમદશાહના નામથી અહમદાબાદ તરીકે ઓળખાતું રહ્યું છે, જેમાં શહેરના જૈન સમાજના લોકો દ્વારા 'રાજનગર' તરીકેની ઓળખાણનો પણ ઉલ્લેખ કરાયો છે એટલે મ્યુનિ. હેરિટેજ વિભાગ અમદાવાદનું નામ બદલવાથી તેનો હેરિટેજ સિટીનો ખિતાબ છીનવાઈ જશે તેમ માનતો નથી. યુનેસ્કોમાં શહેરના નામને લગતી કોઈ ચોક્કસ શરત નથી. તુર્કીના ઈસ્તંબૂલ જેવા પ્રાચીન શહેરનાં નામકરણ ઉદાહરણરૂપે છે.
શહેરને ‘અહમદ આબાદ’ તરીકે જ ઓળખાવે
છેલ્લાં વીસથી વધુ વર્ષથી ભાજપના શાસનકાળમાં કર્ણાવતીનો મામલો ચર્ચાતો રહ્યો છે. ઠરાવ પણ સરકારી ફાઇલમાં ધૂળ ખાતો પડ્યો છે, જોકે હવે 'મિમ'ના કારણે અમદાવાદના નામકરણનો વર્ષોજૂનો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે. ઉલ્લેખનીય છે કે લઘુમતી સમાજના કેટલાક લોકો અહમદશાહ બાદશાહની યાદમાં આજે પણ શહેરને ‘અહમદ આબાદ’ તરીકે જ ઓળખાવે છે.