રાજ્યમાં દારૂબંધી અને અન્ય માદક દ્રવ્યો પર કાયદાથી પ્રતિબંધ છે પરંતુ તેમ છતાં અનેક ઠેકાણે સહેલાઈથી દારૂ મળી રહે છે તે પણ એક હકીકત છે. માદક દ્રવ્યોના પ્રતિબંધાત્મક અમલમાં પોલીસતંત્રની ઢીલીનીતિ અને કોઈપણ રીતે માદક દ્રવ્યો મેળવી લેવાની યુવાનોની તલપના કારણે આજે રાજ્યમાં અનેક યુવાનો વ્યસનનો ભોગ બન્યા છે.
આ તેનું જ પરિણામ છે કે એક સમયે સંસ્કારીનગરી ગણાતી વડોદરામાં આજે 38 ટકા યુવાનો વિવિધ નશાના આદી બની ગયા છે. જોઈએ યુવાધનને બરબાદી તરફ દોરી ગયેલા એક ખેલના અભ્યાસનો આ અહેવાલ.
ઉલ્લેખનીય છે કે, ગાંધીના ગુજરાતમાં સ્થાપના કાળથી જ દારૂપ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી છે છતાં હકીકત એ છે કે રાજ્યમાં અનેક યુવાનો આજે વિવિધ માદક દ્રવ્યોના સેવનના આદી બની ગયા છે. તેનું કારણ એ છે કે આ યુવાધનને સરળતાથી નશીલા પદાર્થો મળી રહે છે. આ સંદર્ભમાં આજે આપણે સંસ્કાર નગરી ગણાતી વડોદરાના યુવાઓની વાત કરવી છે. વડોદરાના 38 ટકા યુવાનો દારૂનો નશો કરતાંહોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે.
એમએસડબ્લ્યુના વિદ્યાર્થીએ કરેલ સર્વેમાં થયો ખુલાસો
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના એમએસડબ્લ્યુના વિદ્યાર્થી રજત દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે. 18 થી 29 વર્ષની ઉંમરના યુવાનો પર કરવામાં આવેલા સર્વેમાં એ વિગત બહાર આવી છે કે, વડોદરામાં 28 ટકા યુવાનો દારૂનું સેવન કરે છે. તો 12 ટકા યુવાનો ગાંજાનું સેવન કરે છે જયારે 61 ટકા યુવાનો તમાકુનું સેવન સિગારેટ મારફતે કરી રહ્યા છે.
નશીલા દ્રવ્યોના કાળો કારોબાર
આપને જણાવી દઇએ કે, દારૂબંધી તેમજ નશીલા દ્રવ્યોના કાળા કારોબાર પર અંકુશ મૂકી શકાય તે માટે રાજ્યસરકારનો ગૃહવિભાગ પણ સતર્ક હોવાનો દાવો કરે છે અને સ્ટેટ મોનિટરિગ સેલની પણ આ માટે જ રચના કરવામાં આવી છે છતાં ગુજરાતમાં અને અન્ય પ્રતિબંધિત માદક દ્રવ્યો યુવાનોને સરળતાથી મળી રહે છે.
આ ઉપરાંત ગાંજો પણ યુવાનો ને મળી રહે છે તેવી ગુજરાતની સ્થિતિ છે. આ ચિંતાજનક સ્થિતિ અંગે ભૂતકાળણાં હાઈકોર્ટ પણ નશાબંધી કાયદાના ઢીલા અમલ સામે અનેક વખત ટકોર કરી ચૂકી છે. કેમ કે રાજ્યમાં દારૂબંધીનો અમલ હોવા છતાં દર મહિને 16 હજાર જેટલા કેસો નોંધાય છે. વડોદરા એમ એસ યુના પ્રોફેસર ભાવનાબેન મહેતા રાજ્યના યુવાનો માટે આ સ્થિતિને ચિંતાજનક ગણાવી રહ્યા છે.
સંસ્કારી નગરીમાં વધ્યું નશાખોરીનું પ્રમાણ
વડોદરા શહેરને સંસ્કારીનગરી કહેવામાં આવે છે સાથે જ શહેરમાં શિક્ષણનું પ્રમાણ પણ વધુ છે તે સાથે સાથે યુવાઓમાં નશાખોરીનું પ્રમાણપણ વધી રહ્યું છે. જાણકારો ના મતે યુવાને માર્ગદર્શનના અભાવે દારૂનો નશો કરવાની લતે ચડી રહ્યા છે ત્યારે સમાજની બદલાતી પરિસ્થિતિ માટે સરકારે દારૂબંધીના કાયદાની મોટી મોટી વાતો કરવાના બદલે ઠોસ પગલાં લેવાનો સમય પાકી ગયો છે.