વડોદરા શહેરમાં બાળકોની ખુશી શાસકોની પૈસાખાઉં મેલી મુરાદનો ભોગ બની ગઈ છે. કેમ કે શહેરના કમાટીબાગમાં એક વર્ષ પહેલા 60 લાખના ખર્ચે બનાવેલાં જાપાનીઝ ગાર્ડન અને ભૂલભૂલૈયા શાસકોએ હવે રિનોવેશનના બહાને તોડી નાખી છે. વાત વિકાસની થાય છે પરંતુ ઈરાદા જનતાની તિજોરીમાં છેદ પાડવાના છે. નહિતર કોઈ 60 લાખનું સ્ટ્રક્ચર એક વર્ષમાં શા માટે તોડી નાખે? નિર્દોષ બાળકો વડોદરાના શાસનતંત્રને હાથ જોડીને વિંનંતી કરે છે કે અમારે આટલું મોધું મનોરંજન નથી જોઈતું.
એક વર્ષના મનોરંજનનો બોજ 60 લાખ?
આ વેરવિખેર પડેલો કાટમાળ અને આ ભંગારનો ઢગલો. આ વળી ગયેલા લોંખડના પાઈપો અને ઠેર ઠેર અસ્તવ્યસ્ત માટીના ઢગલાઓ આ દ્રશ્યો વડોદરાના કમાટીબાગના છે. અહીં હાલ વિકાસના નામે મશીનરીનો શોર અને વાદ-વિવાદના બરાડા સંભળાઈ રહ્યા છે. કેમકે આ જે તોડી પડાયેલા સ્ટ્રક્ચનો કાટમાળ દેખાઈ રહ્યો છે તે સ્ટ્રક્ચર કંઈ પુરાતન ન હતા. પરંતુ હકીકત એ છે કે હજું ગયા વર્ષે જ આ બગીચામાં રૂ.60 લાખના ખર્ચે જાપાનીઝ ગાર્ડન અને ભૂલભુલૈયા બનાવાવમાં આવ્યા હતા. બાળકો તેનો ઉપયોગ કરી રહ્યા હતા. એક વર્ષમાં એ સ્ટ્રક્ચરને કોઈ નુકસાન થયું ન હતું. પરંતુ આજે તેની ખુદ શાસકોએ જ દુર્દશા કરી છે.
વિકાસના નામે તોડી પડાયું ઐતિહાસિક સ્મારક
વડોદરા નગરપાલિકાના શાશકોને જનતાની તિજોરીમાંથી પૈસા ઉપાડવાનું બહાનું તો જોઈને! આખરે તેમણે બહાનું શોધી કાઢ્યું અને વર્ષ 2016-17ના વર્ષમાં થયેલા ઠરાવનો અમલ શરૂ કરી દીધો. તેમને બગીચામાં નવા બાંધકામ એક વર્ષ પહેલા 60 લાખના ખર્ચે તૈયાર કરેલા જાપાનિઝ ગાર્ડન અને ભૂલભુલામણી તોડી પાડવાનો મોકો મળી ગયો. આખરે પોતાનું ધાર્યું જ કર્યું અને 60 લાખના મનોરંજન સ્ટ્રક્ચ પર હથોડો ઝીંકી દીધો. એટલું જ નહીં વિકાસની અવિચારી દોટમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયનો ઐતિહસિક ડોમ અને અન્ય સ્ટ્રક્ચર તોડીને ભંગારમાં ફેરવી દીધા.
વિજિલન્સ તપાસ માટે ઊઠી માગ
તમને જાણીને દુખદ આશ્ચર્ય થશે પણ વર્ષ 16-17માં જ કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં નવા બાંધકામની મંજૂરી મળી ગઈ હતી. તેમ છતાં અહીં ઐતિહાસિક ડોમ નીચે જાપાનીઝ ગાર્ડન અને ભૂલભુલૈયાનું વર્ષ 17/18માં બાંધકામ કરવામાં આવ્યું. જે માટે વડોદરા મહાનગરપાલિકાના શાસકોએ ગયા વર્ષના બજેટમાં વાહવાહી પણ લૂંટી હતી. જોકે ત્યારબાદ હવે એક જ વર્ષમાં ભૂલભુલૈયા અને જાપાનીઝ ગાર્ડન તોડી પાડવામાં આવ્યો છે. જનતાની તિજોરીમાંથી થયેલા 60 લાખના ખર્ચ માથે પાણી ફેરવી દીધું છે. જેના વિરુદ્ધમાં વિપક્ષ દ્વારા વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે.
આ તે કંઈ જવાબ છે?
વિકાસ તો દૂરની વાત રહી પરંતુ કમાટીબાગમાં લોખંડના સ્ટ્રકચર અને ડોમની પણ યોગ્ય જાળવણી કરવામાં આવી નથી. જાળવણીના અભાવે લોખંડના ડોમને પણ નુકસાન થઈ રહ્યુ છે. ઐતિહાસિક સ્મારકોને પણ નુકસાન થઈ રહ્યુ છે. ત્યારે જેની સીધી જવાબદારી બને છે તેવા ઝૂ ક્યુરેટર આ બાબતે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટર તો એમ કહીં રહ્યા છે કે કોઈ નુકસાન થયુ નથી બધું નિયમપ્રમાણે જ થઈ રહ્યું છે.
બોલવાની મનાઈ
જો એક વર્ષ માં જ આ 60 લાખ રૂપિયા ખર્ચ કરેલું સ્ટ્રક્ચર તોડી પાડવાનું હતું. તો આટલો બધો ખર્ચ માત્ર બજેટમાં વાહવાહી લૂંટવા જ કર્યો હતો. ઝૂનું ટેન્ડર મજૂર થઈ ગયું હતું તો પછી ગાર્ડન અને ભૂલભુલૈયાનું નિર્માણ કરવા પાછળનો તમારો ઈરાદો માત્ર તિજોરી ખાલી કરવાનો જ હતો? આ સવાલ દરેક નાગરિકના મનમાં ઊઠી રહ્યો છે.