37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહે પણ કોંગ્રેસનો સાથ છોડ્યો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ગમે ત્યારે જાહેરાત થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. એવામાં રાજ્યમાં 2012થી કોંગ્રેસના નેતાઓની ભાજપમાં એન્ટ્રી થવી એ સિલસિલો યથાવતપણે ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સગઠનનાં હોદ્દેદારો પણ ભાજપમાં સામેલ થયા છે.
વિગતે જો વાત કરીએ તો સૌ પહેલાં નરહરિ અમીન કે જેઓ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાયા બાદ નરહરિ અમીન રાજ્યસભાના સાંસદ બન્યાં. ત્યાર બાદ જુઓ કયા-કયા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા?
વિઠલ રાદડિયા પણ 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. બાદમાં 2017માં વિઠલ રાદડિયા અને તેમના પુત્ર જયેશ રાદડિયા મંત્રી બન્યા.
બળવંતસિંહ રાજપૂતને ભાજપમાં જોડાયા બાદ GIDCના બોર્ડ નિગમના ચેરમન તરીકે સ્થાન મળ્યું. હાલ તેઓએ રાજીનામુ આપ્યું છે.
રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામુ આપ્યું. જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં.
જ્યારે બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડલમાં નવું સ્થાન મળ્યું. જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા. લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા પાંચ મહિના પહેલાં દિલ્હી ભાજપમાં જોડાયા.
37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ
એ સિવાય આજે કોંગ્રેસનાં સગઠનમાં 37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ MLA અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાયા. ત્યાર બાદ આદિવાસી નેતા અને પ્રખર કોંગ્રેસી અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાએ પણ કેસરિયો ધારણ કર્યો. ત્યારે હવે આજે કોંગ્રેસના વધુ બે નેતાઓ કે જેમાં હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટે પણ C.R પાટીલના હસ્તે કેસરિયા ધારણ કરી લીધા છે.