ઘાબા પર પતંગ ચગાવવા ગયેલા બાળકના જીવનની દોર તૂટી, પાંચમાં માળેથી 6 વર્ષનું બાળક નીચે પટકાયું, નજીવી સારવાર બાદ થયું મોત
સુરતના અડાજણમાં બાળકનું અગાસી પરથી પડી જતા મૃત્યુ
બાળક બહેન તથા બાળ મિત્રો સાથે પતંગ ચગાવવા અગાસી પર ચડ્યો હતો
બહેન અને બાળ મિત્રોની નજર સામે બાળક નીચે પટકાયું
14 જાન્યુઆરી એટલે ઉતરાયણનો દિવસ, પણ બાળકોને આ તહેવારનો એટલો બધો શોખ હોય છે કે મહિના અગાઉ પતંગ દોરા લાવી ધાબા પર ચડી જાય છે. ઉત્તરાયણના દિવસે તો પરિવાર હાજર હોય છે માટે ખતરો ઑછો છે પણ સાદા દિવસોમાં નાના બાળકને પંતગ ચગાવવા એકલો મૂકવો એ ખૂબ જ જોખમ ભર્યું કામ છે. અને આવું જ કઈક બન્યું સુરતના અડાજણ વિસ્તારમાં.. જ્યાં બાળક બહેન તથા બાળ મિત્રો સાથે પતંગ ચગાવવા અગાસી પર ગયો હતો અચાનક જ બહેન અને બાળ મિત્રોની નજર સામે બાળક નીચે પટકાતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.મૃતક બાળકના પિતા એગ્રીકલ્ચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. સમગ્ર મામલે અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પહેલી વાર જ પતંગ ખરીદીને આપ્યો હતો
મૃતક બાળકના પિતા હિરેન પટેલે જણાવેલી આપવીતી અનુસાર તનય ધોરણ 1માં ભણતો હતો. તે તેની મોટી બહેનને લઈ રોજ બાળમિત્રો સાથે ધાબા પર રમવા જતો હતો. અન્ય મિત્રોને જોઈ તેને પણ પંતગ ચગાવવાની જીદ પકડી હતી આથી તેની મમ્મીએ તેને પતંગ ખરીદીને આપ્યો હતો. જે બાદ તેઓ બધા ધાબા પર ગયા હતા અને અચાનક જ તનય નીચે પકટકાતા રાડારાડ થઈ હતી.
'મારા દિકરાના મૃતદેહ સામે આખી રાત કેવી રીતે રહ્યો તે મારુ મન જાણે છે'
વધુમાં પીડિત પિતાએ કહ્યું હતું કે તેને માથા અને છાતીમાં ઊંડી ઇજાઓ થઈ હતી જ્યાં ખાનગી હોસ્પિટલમાં નજીવી સારવાર બાદ બાળકને મૃત જાહેર કરાયો હતો. બપોર સુધીમાં તેની પત્નીને તો એમ જ છે કે પોતાનું બાળક (તનય) હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને હાલ તેને સારું છે પણ મારુ મન ભરાઈ ગયું છે. હું આખી રાત મારા દિકરાના મૃતદેહ સામે કેવી રીતે રહ્યો છું તેતો મારુ મન જાણે છે. પોસ્ટમોર્ટમ થાય પછી દીકરાના મૃતદેહને ઘરે લઈ જશે ત્યારે તેની પત્નીને જાણ કરશે.
ઉત્તરાયણ પહેલા અને ઉત્તરાયણના દિવસે શું સાવચેતી રાખવી?
પતંગ ચગાવતા પહેલાં આંગળીઓને મેડીકેટેડ ટેપ લગાવી જોઈએ.
બાળકોએ વાલીની દેખરેખ હેઠળ પતંગો ચગાવવો જોઈએ.
વાહન ચાલકે હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ.
બાઇક પર આગળ સેફ્ટી સળીયો લગાવવો.
કોઈને કંઈ ઈજા થાય તો 108 નંબર ડાયલ કરવો.
અગાસીમાં ફર્સ્ટ એઈડ કીટ અવશ્ય રાખવી.
ઉત્તરાયણના તહેવારોમાં શું ના કરવું જોઈએ?
લીસી, ખરબચડી, તૂટેલી અને નબળી અગાસી અથવા છત કે ધાબા પર ઉભું રહેવું ન જોઈએ.