UPSC દ્વારા લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે જાહેર થવા પામ્યું છે.
UPSC 2021નું પરિણામ જાહેર
ટોપ 3માં મહિલાઓનો દબદબો
સફળ ઉમેદવાર જયવીર ગઢવીએ કરી VTV સાથે વાતચીત
યુનિયન પબ્લીક સર્વિસ કમીશન (યુપીએસસી) દ્વારા 2021માં લેવાયેલી સિવિલ સર્વિસિસની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં 685 ઉમેદવરોએ મેદાન માર્યું છે. જે આગામી સમયમાં દેશની મહત્વની ગણાતી આઈએએસ, આઈપીએસ સહિતની કેડરમાં સેવા આપવા માટે પસંદગી પામશે. કરોડો યુવાઓના સપના સમાન અને સૌથી વધુ હાર્ડ ગણાતી આ પરીક્ષાના પરિણામમાં ટોપ 10 માં પાંચ ગર્લ સ્ટુડન્ટસોએ બાઝી મારી છે અને વડોદરા ખાતે ડે-કલેક્ટરની ટ્રેનિંગમાં રહેલા જયવીર ગઢવીએ સફળતા મેળવી છે.
spipa સંસ્થાના 6 વિદ્યાર્થીઓ થયા ઉત્તીર્ણ
UPSC દ્વારા ગત વર્ષે લેવાયેલી પરીક્ષાનું પરિણામ પોતાની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામમાં ગુજરાતના spipa સંસ્થાના 6 વિદ્યાર્થીઓએ પણ સફળતાનો સ્વાદ ચાખ્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ 332માં રેન્ક પર અમદાવાદના બારોટ હિરેન જીતેન્દ્રભાઈએ સફળતા મેળવી છે. જ્યારે 341માં રેન્ક પર જયવીર ભરતદાન ગઢવી તથા 483માં રેન્ક પર જ્ઞાનેન્દ્ર સિંહ પ્રભાત, 601માં રેન્ક પર અકશેષ મહેન્દ્ર એન્જિનિયેર, 653માં રેન્ક પર કાર્તિકેય કુમાર અને 665માં રેન્ક પર અગિયા પ્રણવકુમાર ગોવિંદભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
UPSCમા ઉત્તીર્ણ થયેલ ઉમેદવારની VTV સાથે ખાસ વાતચીત
UPSCમા ઉત્તીર્ણ થયેલા જયવીર ગઢવીએ VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. આ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરનાર જયવીર ગઢવી કચ્છના માંડવી તાલુકાના નાના એવા વીરાડિયા ગામના વતની છે. તેઓ દેશના 341માં રેન્ક પર ઉત્તીર્ણ થયા હોવાનું જણાવ્યુ હતુ. આ ઉપરાંત તેઓ હાલ GPSC પાસ કરી અને વડોદરા ખાતે ડે-કલેક્ટરની ટ્રેનિંગમાં છે. જેમાં પણ તેઓ ટોપર રહ્યા હતા. વધુમાં સરકારની કલ્યાણકારી યોજનાઓને રાજ્યના ખૂણે-ખૂણે અને છેવાડાના માનવી સુધી પહોંચે તે દિશામાં કાર્ય કરવાનું ઉમેર્યું હતું અને સફળતાનો શ્રેય પરિવાર, શિક્ષકો અને મિત્રોને આપતા કહ્યું હતુ કે આ તમામના સહકારથી જ સફળતા શક્ય બની છે.
ઉમેદવારોએ પોતાની શક્તિ અને માર્યાદા પારખવી જરૂરી: જયવીર ગઢવી
પ્રિ-પ્રેશન કરતાં ઉમેદવારોને શિખ આપતા જયવીર ગઢવીએ જણાવ્યુ હતું કે આ મુકામ હાંસલ માટે તેમણે પોતાની શક્તિ અને મર્યાદાને ધ્યાને લઈને મહેનત કરી હતી. જેમ તમામ ઉમેદવારોએ પ્રથમ પોતાની કયા વિષયમાં પકડ છે અને કયા વિષયમાં મર્યાદા છે તે ઓળખવી જોઇએ. ત્યારબાદ માર્ગદર્શક પાસેથી પૂરતી માહિતી લઈને પ્રોપર વે મા મહેનત કરવી જોઈએ જેથી અવશ્ય સફળતા મળે છે.