કચ્છઃ મુંદ્રાના છાસરા ગામે જૂથ અથડામણની ઘટના બની હતી. આ મામલે પોલીસે હાલ કુલ 7 લોકોની ધરપકડ કરી છે. પોલીસે બંને જૂથના લોકોની ધરપકડ કરી છે. બે જૂથ બાખડતા 6 લોકોના મોત થયા હતા. હાલ આ મોત મામલે પોલીસે કુલ 19 સામે ગુનો દાખલ કર્યો છે. હજુ બાકી લોકોની શોધખોળ શરૂ કરી છે.
કચ્છની ધિંગી ધરા પર ખેલાયેલા લોહિયાળ જંગનું આખરે શું છે કારણ?
કચ્છના મુદ્રા તાલુકાના છાછર ગામે જૂથ અથડામણ લોહિયાળ બની ગઈ હતી. જોતજોતામાં 6 લોકોની જિંદગી મોતને ભેટ ચડી ગઈ.
જૂની અદાવાત અને સામાન્ય બોલાચાલી ક્યારેક લોહિયાળ જંગનું સ્વરૂપ ધારણ કરી લે છે તેનો અંદાજ બાંધી શકાતો નથી. કચ્છના મુદ્રા તાલુકાના છાછર ગામે 23 તારીખની મધરાતે સામાન્ય બાબતમાં મોતનો કાળો ખેલ ખેલાઈ ગયો અને એક સાથે એક બીજાના લોહીની તરસી છ-છ જિંદગીઓ હત્યાનો શિકાર બની ગઈ.
મુદ્રા તાલુકાના છસરા ગામે અગાઉના ઝઘડાને લઈને બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે ખૂની ખેલ ખેલાયો હતો. મંગળવારે મોડી રાત્રે આહિર સમાજના 4 યુવકો પોતાના ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે પૂર્વ પ્લાનિંગ સાથે જૂની અદાવતનું વેર વાળવા સરપંચના પુત્ર અને તેના દાદા તથા અન્ય ઈસમોએ હથિયારો સાથે ઝઘડો શરૂ કર્યો હતો. સામા પક્ષે આહિર યુવકોએ પણ તેમના મિત્રોને બોલાવી ઝઘડાને ગંભીર રૂપ આપ્યું હતું. આ સશસ્ત્ર ધિંગાણામાં બે સગા આહિર ભાઈઓ તથા બે પિતરાઈ ભાઈઓ તેમજ સામા પક્ષે સરપંચ પુત્ર અને તેના દાદાને ગંભીર ઈજાઓ થતાં મુદ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે પણ દમ તોડ્યો હતો.