ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ
ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત
મેઘરજમાં આજનો કુલ 6 ઇંચ વરસાદ નોંધાયો
વલસાડ, નવસારીમાં પણ વરસાદી માહોલ
ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ક્યાંક વાદળછાયુ વાતાવરણ તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જો કે વરસાદને કારણે શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો. વાતાવરણમાં ઠંડક ફરી વળતા આકરા બફારામાંથી રાહત મળી હતી. ત્યારે આજે રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદી માહોલ જામ્યો છે તે વિશે વાત કરીએ.
મેઘરજમાં 6 ઇંચ વરસાદ
અરવલ્લીના મેઘરજમાં મેઘરાજા મહેરબાન થયા છે. મેઘરજમાં અત્યાર સુધી 6 ઇંચ વરસાદ વરસ્યો છે. મોડાસા-મેઘરજ રોડ પર પાણી ભરાયા છે. આ રોડ પરથી પસાર થતા સૌ કોઇ વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થતા ગ્રામજનો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે.
વલસાડમાં વરસાદ
આ તરફ વલસાડમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વાપી તથા આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો. જિલ્લાના અન્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેડૂતો ખુશ જણાયા. વલસાડમાં એવુ વાતાવરણ જોવા મળ્યુ છે કે ભારે વરસાદને લીધે ધોળા દિવસે પણ વાહનચાલકોએ લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી.
નવસારીમાં સાર્વત્રિક વરસાદ
તો આ તરફ નવસારી શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગણદેવી, જલાલપોર, ચીખલી, ખેરગામ સહિતના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
દાહોદમાં પણ વરસાદ
આ તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ઝાલોદ, લીમખેડા, સંજેલી, લીમડીમાં વરસાદ વરસ્યો છે. સમગ્ર જિલ્લામાં ધીમીધારે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી છે.. બફરાથી છૂટકારો મળતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ 5 દિવસ સારા એવા વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસી શકે છે.'
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તદુપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.