બનાસકાંઠાના ધાનેરામાં ડીપ્થેરિયા પોતાનો કાળો કહેર વરસાવી રહ્યો છે અને નઘરોળ તંત્ર ઉંઘી રહ્યુ છે કે શું? એવા પ્રશ્નો થઈ રહ્યા છે. ગલઘોટનુને નામે ઓળખાતો બાળકોનો આ રોગને લીધે ધાનેરામાં ટપોટપ વિકેટ પડી રહી છે. સરકારે મોટે ઉપાડે ડીપ્થેરિયા સહિતના 9 બાળ રોગોને રોકવા કરોડોને ખર્ચે ઈન્દ્રધનુષ અભિયાન શરૂ કર્યુ હતુ પરંતુ આ અભિયાન ખાલી રંગીન ફોટા પડવવા માટે જ હોય તેવો ઘાટ ધાનેરાને જોતા લાગી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ડીપ્થેરિયાએ ધાનેરામાં આતંક મચાવ્યો છે પણ આ વિશે તંત્ર સામાન્ય પગલા લેવા સિવાય કાંઈ નથી કરી રહયુ.
બનાસકાંઠાના ધાનેરામાં ડીપ્થેરિયાના રોગે કાળો કેર કર્યો છે. એક જ અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં 6 બાળકોના મોત થયા છે. અને 25થી વધુ ડીપ્થેરિયા પોઝેટીવ આવ્યા છે. તેમ છતાં તંત્ર સામાન્ય કામગીરી સિવાય કંઈ ખાસ નથી કરી રહ્યુ. ગલઘોટાને નામે ઓળખાતો આ રોગ બાળકોનો ભોગ લઈ રહ્યો છે. ત્યારે શું મોતનો આંકડો વધશે ત્યારે નઘરોળ તંત્ર જાગશે?
ઈન્દ્રધનુષ અભિયાનનું શું?
ભારત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 25 ડિસેમ્બર 2014 ઈન્દ્રધનુષ અભિયાનનો આરંભ કર્યો છે જે પાછળ કરોડો ખર્ચાઈ ચૂક્યા છે એમ છતાં બાળ મૃત્યુ દર વધી રહ્યો છે અને બાળકોને રસીકરણના પ્રોગ્રામથી જે રોગથી બચાવી શકાય તેમ હોય છે તેમ છતાં તેમના મોત થઈ રહ્યા છે. સરકારે 12 જીવલેણ રોગો સામે બાળકોના રક્ષણ હેતુથી મફત રસીકરણના કાર્યક્રમ યોજ્યા છે અને 2020 સુધીમાં તમામ બાળકોને રસીકરણમાં આવરી લેવાના ગુલાબી સપના બતાવ્યા છે એનું શુ?
કેવી રીતે થાય છે ડીપ્થેરીયા
ડીપ્થેરીયાનો રોગ કોરીનોબેક્ટેરીયમ ડીપ્થેરી નામક બેક્ટરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા મુખ્યત્વે હવા દ્વારા ચેપગ્રસ્ત મનુષ્યના સંસર્ગમાં આવતા તંદુરસ્ત મનુષ્ય માં ફેલાય છે.
ડીપ્થેરિયાના લક્ષણો
શ્વાસ લેવામાં તકલીફ પડવી,
ગળામાં કાકડા પર પીળા રંગની ચામડી થઈ જવી,
તાવ આવવો,
ખાંસી આવવી,
જમવામાં તકલીફ થવી,
ગળાના અંદરના ભાગે સોજો આવવો
શું છે ઈલાજ
આવા દર્દીને ગળામાંની લસિકા ગ્રંથિમાં ખૂબ સોજો આવવાથી ગળુ બાહરથી ખૂબ સુજેલુ લાગે છે જેને અંગ્રેજી માં બુલ નેક તરીકે ઓળખાય છે. આવા દર્દીને તાત્કાલિક સારવારની જરુરત પડે છે જેમાં મુખ્ય દવા તરીકે બેક્ટેરીયાના વિષદ્રવ્ય સામે કામ કરતુ પ્રતિવિષદ્રવ્ય આપવુ પડે છે.
ઘણા દર્દીને શ્વાસની તકલીફ હળવી કરવા શ્વાસનળીમાં છેદ કરીને એક શ્વસનનળી પણ મૂકવી પડે છે. દર્દી કદાચ શરુઆતની આ તકલીફોમાંથી હેમખેમ બચી જાય તો પણ લાંબા ગાળે બેક્ટેરીયાના વિષદ્રવ્યની અસરથી થતી રોગની અન્ય તકલીફો કે જેમાં હૃદય પર ઘાતક અસરો અને ચેતા નસો પર અસર થવાથી લકવા જેવી બિમારી સામે ક્યારેક ઝઝૂમવુ પડે છે.
શું છે ઈન્દ્રધનુષ અભિયાન
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 25 ડિસેમ્બર 2014ના રોજ ઇન્દ્રધનુષ અભિયાનનો આરંભ કરાયો હતો. 2009 થી 2013ના ગાળામાં રસીકરણનો લાભ 61 થી 64 ટકાએ પહોંચ્યો હતો. જેમાં વાર્ષિક 1 ટકાની જ સફળતા ગણાય. સરકારે આ એક ટકાની ગણતરીને ધ્યાનમાં લઈને 2020ની સાલ સુધીમાં તમામ બાળકોને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવા માટે વાર્ષિક 5 ટકાનો વૃદ્ધિદરનો લક્ષ્યાંક રાખવાના હેતુથી ઇન્દ્રધનુષ અભિયાન શરૂ કર્યુ છે.
ઈન્દ્રધનુષ અભિયાન હેતુઓ
રસી દ્વારા અટકાવી શકાતા રોગોનો ભોગ એક પણ બાળક ન બને તે માટે સાલ 2020 સુધીમાં દેશના તમામ બાળકોને આવરી લેવા છે. 12 જીવલેણ રોગો સામે બાળકોને રક્ષણ આપવા દર વર્ષે 2.60 કરોડ બાળકોને સાર્વત્રિક રસીકરણ યોજના હેઠળ રસી મૂકવામાં આવે છે. ક્ષય, ડીપ્થેરીયા, ધનીર, પોલીયો, કમળો, ન્યુમોનિયા, મગજનો તાવ, ઇન્ફ્લ્યુએન્ઝા-ટાઈપ-બી, ઓરી, અછબડા, જાપનીઝ અન્સિફેલાઈટીઝ, રોતા વાઈરસ ડાયેરિયા વગેરે રોગોથી બાળકોને બચાવવા માટે વિવિધ પ્રકારની જીવનરક્ષક રસીઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.