ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. તો સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, 11 વર્ષથી નીચેના 6 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી છે.
બાળકોમાં જોવા મળ્યો કોરોના
અમદાવાદ સિવિલમાં 6 બાળકો પોઝિટિવ
બાળકો માટે હજુ નથી આવી વેક્સિન
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકોને કોરોના પોઝિટિવ છે. બાળકોને કોરોના વધતા ડોકટરો અને માતા-પિતામા ચિંતા વધી છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવાયો છે.
બાળકો માટે અલગ વ્યવસ્થા કરાઈ
પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરાઈ છે. ડો રજનિશ પટેલ જણાવ્યું હતુ કે, સગર્ભા મહિલાઓએ હવે સાવચેત રેહવું પડશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ નો આંકડો 540 પર પહોંચ્યો છે.
સરકારની આખી તિજોરી ખાલી થઈ જશે તો પણ કોરોના કાબૂમાં નહીં આવે
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર રજનીશ પટેલે VTV સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, બાળકોને કોરોનાથી બચાવવા તે માતા-પિતાની પ્રાથમિક જવાબદારી છે. આ સાથે જ માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ભગવાનને માથે રાખીને પાલન કરવું જોઇએ. તો તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી જનતા સજાગ નહીં થાય ત્યાં સુધી કોરોના કોઇપણ વસ્તુથી અટકવાનો નથી. સરકાર પોતાની તીજોરી ખાલી કરી નાખશે તો પણ કોરોના જશે નહીં. માટે પ્રજાઓ પોતે જાગૃત થવાની જરૂર છે અને માસ્ક તો જેમ શર્ટ પહેરો તે રીતે પહેરવું પડશે.
ગુરૂવારે નોંધાયા 2400થી વધુ કેસ
રાજ્યમાં કાળ બનેલા કોરોનાના રોજબરોજ કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,410 કેસ નોંધાયા છે. તેની સામે 2,015 દર્દીઓને છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ પણ કરાયા છે. તો રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. આ સાથે 155 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે રાજ્યમાં કુલ 12,996 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 4,528 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 2,92,584 લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે.
અમદાવાદ શહેરમાં કોરોના બેકાબૂ બન્યો
શહેરમાં 19 નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. ગોતા, જોધપુર, બોડકદેવ માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં છે. શહેરમાં કુલ 276 માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન છે ત્યારે હવે AMCની હેલ્થ ટીમ ડોર ટુ ડોર સર્વેલન્સ-સ્કિનિંગની કામગીરી હાથ ધરશે.