મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના 60 હજારથી માત્ર 3 કેસ જ ઓછા નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 59907 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો
આજે એક જ દિવસમાં નોંધાયા 59907 નવા કેસ
322 દર્દીઓના મોત થતા હડકંપ
આ સાથે રાજ્યમાં કુલ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 31,73,261 પર પહોંચી ગઈ છે. આરોગ્ય વિભાગે કહ્યું કે લગભગ 60 હજાર નવા કેસો સાથે રાજ્યમાં કોરોના સક્રિય કેસની સંખ્યા 5,01,559 પર પહોંચી ગઈ છે. આપને જણાવી દઇએ કે મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 55,469 કેસ નોંધાયા છે અને 297 લોકોનાં મોત નીપજ્યાં હતા.
મુંબઇમાં 10442 નવા કેસ
રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 26,13,627 લોકો સાજા થયા છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 56,652 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે પૈકી આજે 322 નવા મોત થયા છે. આ તરફ, ફક્ત મુંબઈની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 10442 નવા કેસ શહેરમાં આવ્યા છે જ્યારે 24 વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. 10,000 થી વધુ નવા કેસો સાથે, મુંબઇના કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 4,83,042 પર પહોંચી ગઈ છે.
બીડ જિલ્લામાં એક જ ચિતા પર 8 લોકોના કરાયા અંતિમ સંસ્કાર
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કોવિડ -19 થી જીવ ગુમાવનારા 8 લોકોના અંતિમ સંસ્કાર એક જ ચિતા પર કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે, આ કામ સ્મશાનગૃહમાં જગ્યાના અભાવને કારણે કરવામાં આવ્યું હતું. એક અધિકારીએ કહ્યું કે અંબાજોગઇ નગરના સ્મશાનગૃહમાં આ લોકોના અંતિમ સંસ્કારનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, તેથી સ્થાનિક અધિકારીઓએ ત્યાં જગ્યા ઓછી હોવાના અંતિમ સંસ્કાર માટે બીજી જગ્યા શોધી હતી.