આગામી 24 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના
ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં NDRFની 13 ટીમ અને SDRFની 22 પ્લાટૂન તહેનાત
નવસારીમાં તમામ નાગરિકો સલામત રીતે સ્વગૃહે પરત
ગુજરાતમાં હાલ વરસાદ સામાન્ય આગાહી કરવામાં આવી છે. પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાનું શરૂ થતાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. આગામી 24 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના વેધર વોચ કમિટીની બેઠકમાં કરવામાં આવી છે.
હવામાનના વરતારા
વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં જણાવાયું છે કે આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ થશે. 24 કલાક બાદ સાર્વત્રિક ભારે વરસાદના સંકેત પણ આપવામાં આવ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત મેઘો ધમાકેદાર બેટિંગ કરી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 22 જુલાઈથી ગુજરાતમાં ફરી વરસાદ જામશે. 23 અને 24 જુલાઈએ રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે.20 અને 21 ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરામાં મેઘરાજા બઘડાટી બોલાવી શકે છે.
સિઝનનો 58.32 ટકા વરસાદ ખાબક્યો
રાજ્યમાં અત્યાર સુધીમાં 58.32 ટકા વરસાદ થયો છે જે ગત વર્ષની સરખામણીમાં 36.625 ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 55,41,706 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા હાલમાં NDRFની 13 ટીમ અને વિવિધ 16 જિલ્લાઓમાં SDRFની 21 પ્લાટૂન તહેનાત છે.
નવસારીમાં કઈ કઈ કામગીરી 100 ટકા પૂર્ણ
પૂરગ્રસ્ત નવસારી જિલ્લામાં વીજળી, કેશડોલ્સ વિતરણ, પાણી વિતરણ અને રસ્તાઓ શરૂ કરવાની તેમજ પશુ સર્વેની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત મકાન સર્વે, સાફ સફાઇ, આરોગ્ય, ગટર સહિતની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્વવત કરાશે તેમ આજે SEOC, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું.
પૂર અસરગ્રસ્ત આશ્રિત નાગરિકો ઘરે પરત ફર્યા
નવસારી જિલ્લામાં આશ્રયસ્થાનમાં આશરો લઇ રહેલા તમામ નાગરિકો સલામત રીતે સ્વગૃહે પરત ફર્યા છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત તમામ નાગરિકોને કેશડોલ્સ ચૂકવવામાં આવી છે.