કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આત્મહત્યા પાછળના કારણોમાં અભ્યાસને લઈને આ પણ એક કારણ
દેશમાં છેલ્લા 5 વર્ષમાં IIT-NITના 55 વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા
કોંગ્રેસના સવાલ પર રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રીનો જવાબ
આત્મહત્યા પાછળના કારણોમાં અભ્યાસને લઈને તણાવ પણ એક કારણ: સરકાર
દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના મામલા પર કેન્દ્ર સરકારે સંસદમાં જવાબ આપ્યો છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસે આઈઆઈટી, એનઆઈટી અને આઈઆઈએમમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ પર કેન્દ્રને સવાલ કર્યા હતા. જેને લઈ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આત્મહત્યા પાછળના કારણોમાં અભ્યાસને લઈને તણાવ પણ એક કારણ છે. આ સિવાય કૌટુંબિક અને અંગત સમસ્યાઓ તેમજ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ જવાબદાર છે.
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ એલ હનુમંથૈયાએ આઈઆઈટી, એનઆઈટી અને આઈઆઈએમ સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ પર કેન્દ્રને સવાલ કર્યા હતા. તેના જવાબમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ સરકારે છેલ્લા 5 વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા રજૂ કર્યા હતા.
શું કહ્યું કેન્દ્ર સરકારે ?
સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2023માં અત્યાર સુધીમાં IIT અને NITમાં વિદ્યાર્થીની આત્મહત્યાના છ કેસ નોંધાયા છે. વર્ષ 2022માં 16, 2021માં 7, 2020માં 5, 2019માં 16 અને 2018માં 11 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.
તાજેતરમાં જ IIT મુંબઈમાં અમદાવાદના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
સરકારે આ માહિતી એવા સમયે આપી છે જ્યારે થોડા દિવસ પહેલા જ IIT મુંબઈમાં 18 વર્ષીય દલિત વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો ચર્ચામાં હતો. વિદ્યાર્થીએ સંસ્થામાં આવેલી તેની હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. અમદાવાદના રહેવાસી આ વિદ્યાર્થીએ B.Tech કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. વિદ્યાર્થીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, સંસ્થામાં તેની સાથે જાતિ ભેદભાવ થઈ રહ્યો છે. જોકે, સંસ્થાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. સંસદમાં આપવામાં આવેલી માહિતીમાં મંત્રાલયે શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવને આત્મહત્યા પાછળનું કારણ માન્યું નથી.
તણાવ ઓછો કરવા માટે ઉપાયો
મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક તણાવ ઘટાડવા માટે સંસ્થાઓ દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. તેમાં પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસક્રમો પણ સામેલ છે. તેમણે કહ્યું કે, ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) એ 12 પ્રાદેશિક ભાષાઓમાં ટેકનિકલ કોર્સના પુસ્તકોનો અનુવાદ શરૂ કર્યો છે.