સમગ્ર દુનિયામાં કોરોનાએ ફરીવાર હાહાકાર મચાવવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે, બુધવારે ફરી એક વખત કોરોનાના 50 હજારથી વધુ કેસ નોંધાયા છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 53,480 કેસ નોંધાયા
દેશમાં 24 કલાકમાં 354 દર્દીઓના મોત
દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 12,149,335 થઇ
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ સામે આવ્યા છે, જેને લઇને કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 12,149,335 થઇ ગઇ છે. જેમાંથી 11,434,301 લોકો કોરોના મુક્ત થઇ ચૂક્યા છે.
મંત્રાલયના અનુસાર, દેશમાં હાલ 5,52,566 એક્ટિવ કેસ છે. જે કુલ કેસના 4.55 ટકા છે. આ ખતરનાક વાયરસના કારણે 354 લોકોના મોત થયા છે. જેને લઇને કુલ મૃત્યુઆંક 1,62,468 થયો છે.
ગુજરાતમાં ગઇકાલે નોંધાયેલા કોરોનાના કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગઇકાલે 24 કલાકમાં કોરોનાના 2,220 કેસ નોંધાયા છે અને 1,988 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,88,565 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 10 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4510 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. 29 માર્ચ કરતા 30 માર્ચે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ મૃત્યુનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે.