ગાંધીનગરઃ આજરોજ અછતરાહત સમિતિની ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં અછતની સ્થિતી પશુઓ માટે ઘાસચારો મનરેગા હેઠળ લોકોને રોજગાર સહિતના મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
મહેસુલ મંત્રી કૌશિક પટેલે બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે રાજ્યના 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. આ તમામ તાલુકામાં 15 ડિસેમ્બરથી કેટલ કેમ્પ શરૂ કરવામાં આવશે. તો પશુ પાલકોને પશુ દીઠ પ્રતિદીન 25 રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે 13 લાખથી વધુ ખેડૂતોને સબસીડી આપવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે અછતની સ્થિતીમાં મનરેગા હેઠળ લોકોને 150 દિવસ સુધી કામ પણ આપવામાં આવશે. જેથી કરીને લોકોને રોજગાર મળી રહે. તો પીવાના પાણીની પણ પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવશે. જે માટે તંત્રને પુરતી વ્યવસ્થા કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.