ઉત્તરાખંડમાં નૈનીતાલ અને મસૂરી તરફ આવનારી લગભગ 5 હજાર ગાડીઓને પાછી મોકલી આપવામાં આવી છે.
ઉત્તરાખંડના પ્રવાસે જનારા લોકો સાવધાની રાખે
નૈનીતાલ અને મસૂરીમાંથી 5 હજાર ગાડીઓને પાછી મોકલી દેવાઈ
કોરોના નેગેટિવ રિપોર્ટ અને હોટલ રિઝર્વશન ન હોવાને કારણે ઘેરભેગુ થવું પડ્યું
આ તમામ કાર ચાલકોની પાસે કોવિડ ગાઈડ લાઈન્સના કાગળો, હોટલ રિઝર્વશન નહોતા તેથી તેમને પાછો મોકલાયા હતા. મશહૂર પ્રવાસન સ્થળ ધનૌલ્ટીની પણ આવી જ સ્થિતિ છે.
દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો આવતા પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓના ધાડેધાડા ઉમટી પડ્યાં હતા અને કોરોનાના નિયમોનું મોટાપાયે ઉલ્લંઘન થયાનું પ્રશાસન તથા સરકારના ધ્યાનમાં આવ્યું હતું તેને કારણે પ્રતિબંધો ઉગ્ર બનાવી દેવાયા હતા.
શું છે કોરોનાનો નવો નિયમ
કોરોના કાળમાં ઉત્તરાખંડમાં પ્રવાસીઓની વધી રહેલી સંખ્યા અંગે ગત અઠવાડિયે સરકારે નવા નિયમો જારી કર્યાં હતા. જે હેઠળ હોટલ રિઝર્વશન અને કોવિડના નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો ફરજિયાત બનાવાયો હતો.
પહાડી રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદની આગાહી કરી હોવાથી આ બન્ને રાજ્યોની મુલાકાતે જનાર લોકોએ ચેતી જવાની જરુર છે. ખાસ કરીને ગુજરાતીઓ મોટી સંખ્યામાં ત્યાં ફરવા જતા હોય છે તેથી તેમને આ આગાહી ધ્યાનમાં લેવી જોઈએ. એકબાજુ કોરોનાના કડક નિયમો અને બીજી બાજુ વરસાદની આગાહી તમારી મજા બગાડી શકે છે.
હિલ સ્ટેશનો પરની લોકોની બેફિકર ભીડ જોઈને કેન્દ્ર સરકાર ચિંતિત
દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘટવા લાગી છે તેને કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પણ પોતપોતાની રીતે કોરોનાના પ્રતિબંધોમાં છૂટ આપવા લાગી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે મનાલી, શિમલા સહિતના દેશના જાણીતા હિલ સ્ટેશનોએ ભીડ વધી રહી છે અને લોકો કોરોનાના નિયમોનું પાલન કરતા દેખાતા નથી. લોકો માસ્ક વગર બિંદાસ્ત રખડી રહ્યાં છે.હિલ સ્ટેશનો પરની લોકોની બેફિકર ભીડ જોઈને કેન્દ્ર સરકારે ચિંતા થઈ છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઈઝરી બહાર પાડીને જણાવ્યું કે જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો ફરી વાર પ્રતિબંધોમાં અપાયેલી છૂટ પાછી ખેંચી લેવામાં આવશે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે અત્યાર સુધી કોરોનાની બીજી લહેરમાં મળેલી રાહતને કોરોના પ્રોટોકોલ તોડનાર લોકો ખતમી કરી શકે છે.