હવામાન વિભાગની આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક નદીઓમાં ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા તો ક્યાંક ડેમ ઓવરફ્લો થયા.
સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો
વાસણા બેરેજના 7 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા
5000 ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર
રાજ્યમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે. ત્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં પણ છેલ્લા 2-3 દિવસથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ હવે સાબરમતી નદી બે કાંઠે જોવા મળી રહી છે.
વાસણા બેરેજના 7 દરવાજાઓ 1 ફૂટ સુધી ખોલી દેવાયા
અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજમાંથી પાણી છોડાયું છે. વાસણા બેરેજના 7 દરવાજાઓ 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે.
વાસણા બેરેજમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અત્યારે વાસણા બેરેજનું લેવલ 129 મીટર છે. વાસણા બેરેજ બાદ સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવશે. સંત સરોવર ડેમમાંથી 15000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. સાબરમતી નદીમાંથી પાણી છોડતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.
વધુમાં જણાવીએ કે, આજ રોજ ગુજરાતના 20થી વધુ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં તો સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં તો નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. એ સિવાય દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, સુરત અને વલસાડના પણ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.