પાંચસો વર્ષમાં પહેલીવાર ત્રિપુરા સુંદરી મંદિરમાં દુર્ગા પૂજા દરમિયાન પશુની બલિ ન ચડી. ત્રિપુરા હાઈકોર્ટના ઐતિહાસિક ચૂકાદા પછી ત્રિપુરેશ્વરી માતાને દરરોજ ચડતી બલિની પ્રથા બંધ થઈ છે. ત્રિપુરામાં આવેલું આ મંદિર 51 શક્તિપીઠમાંનું એક છે.
ત્રિપુરામાં 500 વર્ષ જુની પરંપરા તૂટી
ત્રિપુરેશ્વરી માતા ચડતી બલિ પ્રથાનો આવ્યો અંત
સરકાર દ્વારા પણ ચડાવવામાં આવતી બલિ
સામાન્ય ભક્તો અહીં બલી ચઢાવે છે, પણ સરકારે જિલ્લા વહીવટીતંત્રને આદેશ આપેલો છે કે ત્રિપુરા સરકાર વતી માતાજીને દરરોજ એક બલિ ચડાવે. દુર્ગા પૂજા અને દિવાળી પર મોટા પ્રમાણમાં બલિ ચડાવાય છે.
પશુઓને પણ જીવવાનો છે અધિકાર
ગયા મહિને એક નિવૃત્ત જજે ત્રિપુરા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરીને માંગ કરી હતી કે બલી ચડાવવાની જૂની પ્રથા બંધ થવી જોઈએ, કારણ કે પશુઓને પણ જીવવાનો અધિકાર છે.
ત્રિપુરાના ગોમતી જિલ્લાના ઉદયપુરમાં આવેલું છે ઐતિહાસિક મંદિર
ત્રિપુરાના ગોમતી જિલ્લાના ઉદયપુરમાં આ ઐતિહાસિક મંદિર આવેલું છે. વર્ષ 1501માં રાજા ધન્ય બહાદુરે આ મંદિર બનાવ્યું હતું. કહેવાય છે કે રાજાને સ્વપ્નમાં આદ્યાશક્તિ આવ્યા અને તેમણે મંદિરની પ્રેરણા આપી. મંદિરના નિર્માણ સમયથી જ પશુની બલી ચડાવાય છે.
સરકાર દ્વારા પણ આપવામાં આવે છે પશુઓની બલી
સરકાર પણ રોજ એક પશુની બલિ આપે છે. બલિના મુદ્દે ત્રિપુરા બે મતમાં વહેંચાઈ ગયું છે, સરકાર પોતે હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કરે છે, અને સુપ્રીમકોર્ટમાં નિર્ણયને પડકારવા જઈ રહી છે. જ્યારે હાઈકોર્ટ એટલી મક્કમ છે કે તેણે જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો છે કે મંદિરની અંદર CCTV કેમેરા ઈન્સ્ટોલ કરો બલિ ન ચડે તે માટે મોનિટરિંગ કરો.