દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડીને મંદી નાથવાનો પ્રયાસ કર્યો છે. જો કે દેશમાં કોર્પોરેટ જેટલા જ અગત્યના એવા નાના ઉદ્યોગો મંદીને કારણે કપરી સ્થિતિમાં છે. સુરત શહેરની જાહોજલાલી માટે આ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ જવાબદાર છે. મંદીના વાવડને પગલે કામ ન મળવાથી રત્નકલાકારો પછી હવે હસ્તકલાથી ઘરેણા બનાવતા કારીગરો પણ શહેર છોડી રહ્યા છે.
સમગ્ર દેશમાં જયારે મંદીના પડઘમ વાગી રહ્યા છે તેવા સમયે સુરત શહેરમાં હસ્તકલાથી ઘરેણા બનાવતા ૫૦,૦૦૦ કલાકારોએ નોકરી છૂટી જતા સુરતને અલવિદા કહી દીધી છે. દેશમાં ઘેરાયેલી મંદીએ તેનો પ્રકોપ ફક્ત હીરા ઉદ્યોગ પર નહિ પણ હસ્તકલાથી ઘરેણા બનાવતા ઉદ્યોગ પર પણ વરસાવ્યો છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી લગભગ ૫૦,૦૦૦ બંગાળી કારીગરોએ કામ ન મળતા માદરે વતનની વાટ પકડી છે. તેમનું કામ ઘટીને લગભગ ૪૦% થઇ ગયું છે.
ઘરેણાની દુકાનના માલિકોના મતે,
સોનાના સતત ભાવો વધવાથી
સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી ૧૦%થી વધીને ૧૨.૫% થઇ જવાથી
હાથે બનતા ઘરેણા ઉપર ૧૮%નો તોતિંગ GST હોવાથી સોના, ચાંદી અને હીરાજડિત ઘરેણાં ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.
ગયા વર્ષની દિવાળીના ઓર્ડર્સ આ વર્ષે ઘટીને ૭૦% થઇ ગયા છે.
સુરતમાં ભાગળ, મહીધરપુરા, મુઘલસરાઈ, બાલાજી રોડ વગેરે વિસ્તારોમાં સ્થિત ૭૦૦ જેટલા એકમોમાં ૧ લાખથી વધુ કારીગરો કામ કરતા હતા જેમાંથી ૯૫% કારીગરો બંગાળી હતા.
સુરતના હસ્તકલાના ઘરેણાં દેશવિદેશમાં જાણીતા હતા. જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના સભ્ય નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે સુરતમાં વેચાતી કુલ જ્વેલરીમાંથી ૭૦% હાથે બનેલી હોય છે. સરકારે હીરાઘસુઓ અને મશીનથી બનતા ઘરેણાંના GSTના દરો ૫%થી ઘટાડીને ૧.૫% કરી દીધા પરંતુ હસ્તકલાથી બનતા ઘરેણાં ઉપર ૧૮% GST ચાલુ રાખ્યો છે.
મહિધરપુરાના ૧૫૦ કારીગરો સાથેના હસ્તકલાથી બનતા ઘરેણાંના એકમ મોટા એકમના માલિક શિબુ બંગાળીએ જણાવ્યું હતું કે ફક્ત ૫૦ કારીગરો રહ્યા છે અને કામમાં અત્યંત ઘટાડો નોંધાયો છે. આ અમારા ઉદ્યોગ માટે ૧૦ વર્ષની સૌથી નબળી દિવાળી છે.
અહી એ પણ ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે એક જ દિવસમાં ૨ રત્ન કલાકારોએ મંદીના પગલે આત્મહત્યા કરીને જીવન ટુકાવ્યું જતું. અહી ક્યાંકને ક્યાંક સરકાર નાના કારીગરો અને હસ્તકલાના ઉદ્યોગોનો કલાકારો સાથે ઓરમાયું વલણ રાખે છે એવી ચર્ચાએ વેગ પકડ્યો છે.