સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવતા કંડલા પોર્ટ પહોંચેલી 5000થી વધુ ટ્રકો અટવાઈ પડી છે.
ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધની વિપરીત અસર
કંડલા પોર્ટ પર ઘઉંનો 20 લાખ મેટ્રીક ટન જથ્થો અટવાયો
કંડલા પોર્ટ ઉપર 5 હજારથી વધુ ટ્રક અટવાયા
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ ઘઉંની નિકાસ પર શરતોને આધીન રોક લગાવી દેવામાં આવી છે. જેના લીધે સોમવારના રોજ યુરોપિયન ટ્રેડિંગમાં ઘઉંના ભાવ નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા. જો કે, સરકારના ઘઉંની નિકાસ પરના પ્રતિબંધના એક નિર્ણયની વિપરીત અસર જોવા મળી રહી છે. સરકારના આ નિર્ણયથી કંડલા પોર્ટ ઉપર ઘઉંનો જથ્થો અટવાઇ ગયો છે. 20 લાખ મેટ્રીક ટન જથ્થો અટવાઇ ગયો છે. કંડલા પોર્ટ ઉપર 5 હજારથી વધુ ટ્રક અટવાઇ ગયા છે. નવા નિયમોના પગલે કસ્ટમ વિભાગે ઘઉંની નિકાસ ઉપર રોક લગાવી દીધી છે.
ટ્રકના ચક્કાજામના કારણે કંડલા ખાતે અન્ય પરિવહન સેવા પણ ખોરવાઈ
ઘઉંની નિકાસ પર કેન્દ્ર સરકારે લગાવેલા પ્રતિબંઘના પગલે કંડલા પોર્ટ પર ટ્રક અને ટેલરને લઇને ભારે ચક્કાજામ જોવા મળ્યો છે. કંડલા પોર્ટ પર ઘઉં ભરેલા 5000થી વધુ ટ્રક અને ટેલર અટવાઈને ઊભા છે. ઘઉંની નિકાસ પર પ્રતિબંધના નિર્ણય બાદ ટ્રક અને ટેલરને તંત્ર દ્વારા ખાલી કરવા ન દેવામાં આવતા હોવાની રાવ ઉઠી રહી છે. જેને લઈને ટ્રક ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ટ્રક અને ટેલરના ચક્કાજામના કારણે કંડલા ખાતે અન્ય પરિવહન સેવા પણ ખોરવાઈ છે. ઘઉંના જથ્થાથી ખીચોખીચ ભરેલ ટ્રક ખાલી કરવા ન દેવાતા ટ્રક ચાલકોને અગાઉના અન્ય ભાડા જતા કરી દેવાની નોબત આવી પડી છે. જેથી તેની મુશ્કેલી વધી છે ઉપરાંત આર્થિક નુકસાની પણ સહન કરવાનો વારો આવ્યો છે. આથી ડ્રાઈવરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
કંડલા બંદરે 2 દિવસથી ઘઉં હેંડલિંગની કામગીરી છે બંધ
બીજી તરફ આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ પણ તત્કાલિક બંદર ખાતે દોડી ગઈ હતી. પોલીસ દ્વારા મામલો થાળે પાડવા અને અટવાયેલ પરિવહન સેવા રાબેતા મુજબ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં. ઉલ્લેખનીય છે કે, નિકાસ પર પ્રતિબંધના લીધે કંડલા બંદરે 2 દિવસથી ઘઉં હેંડલિંગની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે.
ભારતે ઘઉંની નિકાસ પર નિયંત્રણો લગાવ્યા છે
સ્થાનિક સ્તરે વધતી કિંમતોને નિયંત્રિત કરવાના પગલાંના ભાગરૂપે ભારતે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ માહિતી સત્તાવાર પ્રાપ્ત થઈ છે. જો કે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ 13 મેના રોજ બહાર પાડવામાં આવેલ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, "આ નોટિફિકેશનની તારીખે અથવા તે પહેલાં અફર ક્રેડિટ લેટર્સ (LOC) જારી કરવામાં આવ્યા હોય, તેવા માલસામાનની નિકાસની પરવાનગી આપવામાં આવશે."
ડીજીએફટીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, ઘઉંની નિકાસને ભારત સરકાર દ્વારા અન્ય દેશોને તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા અને તેમની સરકારોની વિનંતીના આધારે આપવામાં આવેલી પરવાનગીના આધારે મંજૂરી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારત વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં બીજા ક્રમે છે.