વડાપ્રધાન મોદીના કાર્યકાળની બીજી ટર્મને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. એક વર્ષનાં આ કાર્યકાળમાં મોદી સરકાર સામે ઘણી મુશ્કેલીઓ પણ આવી અને ઘણી સિદ્ધિઓ પણ હાંસલ કરી. આજે વડાપ્રધાન મોદીએ દેશનાં નાગરિકોને સંબોધીને પત્ર પણ લખ્યો અને ઓડિયો સંદેશ પણ આપ્યો છે, આ સંદેશમાં તેમણે સરકારની સિદ્ધિઓ અને પડકારોનો ઉલ્લેખ કર્યો છે. પીએમ મોદીએ પોતાની ચિઠ્ઠીમાં જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370, રામ મંદિર, ટ્રિપલ તલાક અને નાગરિક સંશોધન બિલનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના વાયરસનાં સંક્રમણ સામે દેશ એકસાથે ઉભો છે ત્યારે મોદી સરકારનાં બીજા કાર્યકાળમાં અમુક ઘટનાઓ એવી થઇ કે જે ના થઇ હોત તો દેશનું હિત થાત.
આ કાર્યકાળમાં CAA-NRC જેવા મુદ્દાઓ પર સૌથી વધુ વિવાદ
મહારાષ્ટ્રમાં સરકાર ઉથલપાથલ સરકારની છવી ખરડાઈ
લોકડાઉનમાં શ્રમિકોને પડેલી હાલાકી પણ સરકારની મોટી નિષ્ફળતા
રોજગારી આપવામાં કાચી પડી સરકાર
CAA-NRC પર દિલ્હીમાં થયેલી હિંસા
મોદી સરકારનાં બીજા કાર્યકાળમાં દેશનાં ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. અમિત શાહે કાશ્મીરથી લઈને એનઆરસી સુધી મોટા મુદ્દાઓ પર કામ કર્યું અને વિરોધીઓને તેટલી જ દ્રઢતાથી જડબાતોડ જવાબ પણ આપ્યા પછી સંસદમાં હોય કે પછી રેલી. અમિત શાહે દેશમાં CAA અને NRC લાવવાની જાહેરાત કરી, CAAમાં સરકારે પાડોશી દેશમાં જે અલ્પસંખ્યકોનું શોષણ થઇ રહ્યું હતું તેમને નાગરિકતા આપવાની વાત કરી અને NRC દ્વારા સરકારે કહ્યું કે જે આ દેશમાં ગેરકાયદેસર રહેતા નાગરિકોને કાઢી મૂકવામાં આવશે. જોકે સરકાર લોકો સાથે સંવાદ કરવામાં ચુકી ગઈ જે બાદ દેશના અલ્પસંખ્યકોમાં ખોટી માહિતી ફેલાઈ કે તેમને જ દેશમાંથી કાઢી મૂકવામાં આવશે જે બાદ દિલ્હીમાં ભયંકર હિંસા થઇ. આખું દિલ્હી જાણે ભડકે બળ્યું. દેશની છવીને પણ આના કારણે જોરદાર ઝટકો લાગ્યો. જોકે બાદમાં એક રેલીમાં વડાપ્રધાન મોદીએ પોતે સ્પષ્ટતા કરી હતી કે કોઈની નાગરિકતા ખતરામાં નથી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં થયેલ રાજકીય ખેંચતાણ
મોદી સરકારનાં કાર્યકાળમાં સરકારમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પણ ખૂબ ચર્ચામાં રહી. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી અને જીતી પણ ગયા. જોકે બાદમાં ભાજપ અને શિવસેના વચ્ચે આંતરિક ઝઘડો વધતો ગયો અને સરકાર બનાવવી મુશ્કેલ થઇ પડી. જ્યારે શિવસેના-એનસીપી-કોંગ્રેસે સંયુક્ત સરકાર રચવાની તૈયારી શરુ કરી ત્યારે જ ભાજપે રાતોરાત અજીત પવાર સાથે હાથ મિલાઈને શપથગ્રહણ કરી લીધું. પરંતુ સરકારનું ફ્લોર ટેસ્ટ થાય તે પહેલા જ અજીત પવાર ફરી ગયા અને દેવેન્દ્ર ફડણવિસે રાજીનામું આપી દેવું પડ્યું. જે બાદ દેશભરમાં ભાજપનું મજાક ઉડ્યું, કેન્દ્ર સરકારથી લઈને રાજભવન પર લોકોએ સવાલ ઉભા કર્યા.
રોજગારી આપવામાં કાચી પડી સરકાર
મોદી સરકારનાં છ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે પરંતુ રોજગારનાં વાયદા કરીને સત્તામાં આવેલ સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી છે. સરકારનાં કાર્યકાળ દરમિયાન બેરોજગારી દર રેકોર્ડ સ્તર પર વધી છે. સરકાર દાવો કરે છે કે તેમણે અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર આપે છે પરંતુ સરકાર પાસે તેના કોઈ ઠોસ આંકડાઓ નથી. નોકરીઓ આપવામાં મેક ઇન ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયા જેવી યોજનાઓ પણ અસમર્થ રહી છે.
વિપક્ષનું સ્થાન થયું 'શૂન્ય'
મોદી સરકાર પ્રચંડ બહુમત સાથે સત્તામાં આવી.જેથી સરકાર પર સતત આરોપ લાગતા રહે છે કે આ સરકાર દેશનાં વિપક્ષને કંઈ ખાસ મહત્વ નથી આપતી. ઘણા દિગ્ગજોનું માનવું છે કે લોકતાંત્રિક પ્રક્રિયામાં વિપક્ષની પણ ભૂમિકા હોય છે અને સરકારે તેમની સાથે સલાહ લેવી જોઈએ. પરંતુ આ સરકારની કાર્યશેલી અનુસાર વિપક્ષને મહત્વ આપવામાં આવતું નથી.
પ્રવાસી શ્રમિકોને સહન કરવી પડી યાતનાઓ
દેશ અત્યારે સૌથી મોટા સંકટથી પસાર થઇ રહ્યો છે. કોરોનાના ભરડામાં લોકડાઉનનાં કારણે સૌથી મોટું નુકસાન દેશના શ્રમિકો અને ગરીબોને થયું છે. તેમાં પ્રવાસી શ્રમિકોના મુદ્દે દેશનાં નાગરિકોમાં જોરદાર ગુસ્સો છે. પ્રવાસી શ્રમિકોને પોતાના વતન જવા માટે જે યાતનાઓ સહન કરવી પડી તે જોઇને સમગ્ર દેશ દુઃખી થયો. કેટલાય કિમી પગપાળા ચાલનારા શ્રમિકોએ ડંડા પણ ખાધા અને કેટલાય તો પોતાના ઘરે પહોંચે તે પહેંલા જ મોતને ભેટી ગયા. સરકાર પર દબાણ વધ્યું પછી ટ્રેન સેવા શરુ કરી પણ તેનો હાલ પણ દેશ જાણે જ છે ત્યારે લોકડાઉનમાં શ્રમિકો મુદ્દે વિચાર ન કરવો એ સરકારની નિષ્ફળતાઓમાં ગણી શકાય.