ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રીના ભાઈનો પરિવાર કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો છે.
CM વિજય રૂપાણીના પરિવારને કોરોના
રૂપાણીના ભાઇનો પરિવાર કોરોના સંક્રમિત
તમામ સભ્યો હોમ આઈસોલેટ થયા
રાજકોટમાં રહેતા CM વિજય રૂપાણીના ભાઇનો પરિવાર કોરોના સંક્રમિત
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સીએમ રૂપાણીના ભાઈના પરિવારમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું છે. રાજકોટમાં રહેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાઇનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. લલિત રૂપાણીના પરિવારમાં અનિમેષ રૂપાણી સહિત 5 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ કોરોનાગ્રસ્ત સભ્યો હાલ હોમ આઈસોલેટ થયા છે. નોંધનીય છે કે થોડાક સપ્તાહ પહેલા સીએમ રૂપાણી પોતે પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા.
ગુજરાત સરકારના ઘણા બધા મંત્રીઓ પણ કોરોગ્રસ્ત
નોંધનીય છે કે દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. કોરોનાની આ નવી લહેરમાં ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારના ગૃહરાજ્યમંત્રી સહિતના ઘણા બધા નેતાઑ, ધારાસભ્યો, અને મંત્રીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે.
કોરોના વાયરસ કેસ અપડેટ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3280 કેસ નોંધાયા છે અને 2167 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,02,932 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 17 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
અત્યાર સુધીમાં 4598 લોકોના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4598 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 171 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 17348 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.