ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતાથી માંડીને 5 દિગ્ગજ નેતાઓએ આ વખતે ચૂંટણી નહીં લડવાનું મન બનાવી લીઘું છે. તેઓ માત્ર રાજ્યભરમાં પ્રચાર કરવાના મૂડમાં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે મોટા સમાચાર
ગુજરાત કોંગ્રેસના 5 દિગ્ગજો ચૂંટણી નહીં લડે
દિગ્ગજો ઉમેદવારો માટે રાજ્યભરમાં પ્રચાર કરવાના મૂડમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના 5 દિગ્ગજ નેતાઓ ચૂંટણી નહીં લડે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા પણ ચૂંટણી નહીં લડે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના 5 દિગ્ગજ નેતાઓ ચૂંટણી નહીં લડે, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિત ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ અને સિદ્ધાર્થ પટેલ ચૂંટણી નહીં લડે#GujaratElections2022#Congress
ગુજરાત કોંગ્રેસના આ 5 દિગ્ગજ નેતાઓની જો વાત કરીએ તો તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર ચૂંટણી નહીં લડે. જગદીશ ઠાકોર રણનીતિ અને કેમ્પેઇનની જવાબદારી સંભાળશે. જગદીશ ઠાકોરની સાથે અન્ય 4 દિગ્ગ્જ નેતાઓ પણ ચૂંટણી નહીં લડે.
અન્ય 4 દિગ્ગજ નેતાઓમાં ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ સહિત વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પણ ચૂંટણી નહીં લડવાનું નક્કી કરી લીધું છે. સુખરામ રાઠવાએ ઉંમરના કારણે ચૂંટણી નહીં લડવાનું મન બનાવી લીધું છે. આ સાથે સિદ્ધાર્થ પટેલ પણ આ વખતે ચૂંટણી નહીં લડે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, આ તમામ દિગ્ગ્જ નેતાઓ ચૂંટણીમાં લડવાના બદલે ઉમેદવારો માટે રાજ્યભરમાં પ્રચાર કરવાના મૂડમાં છે.
દિગ્ગજ નેતાઓ રાજ્યભરમાં કરશે ચૂંટણીલક્ષી પ્રચાર
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા પોતપોતાની રીતે તમામ દાવ અજમાવી રહ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે આ વર્ષે ગુજરાતમાં ચૂંટણી જીતવા એક્શન પ્લાન બનાવી દીધો છે. એટલે કે ગુજરાત કોંગ્રેસના 5 દિગ્ગજ નેતાઓ કે જેઓ ચૂંટણી લડવાના બદલે પોતે જ રાજ્યભરમાં ચૂંટણીલક્ષી પ્રચાર કરશે. તેમજ પક્ષને જીત અપાવવા માટે એડીચોટી સુધીનું જોર લગાવશે.
કોંગ્રેસ ટોળા સાથે દાવેદારી કરનારાને ટિકિટ નહીં આપે
એ સિવાય તમને જણાવી દઇએ કે, ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસે ટિકિટ વહેંચણીને લઇને પણ મહત્વનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ ટોળા સાથે દાવેદારી કરનારાને ટિકિટ નહીં આપે તેવો નિર્ણય કર્યો છે. ટિકિટ આપવા સમયે કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટી ગુજરાતમાં જ રહેશે. 12મી સપ્ટેમ્બરે ઉમેદવારોના બાયોડેટા લેવામાં આવશે. જ્યારે 15મી સપ્ટેમ્બરે બાયોડેટા પ્રદેશ કાર્યાલય સમક્ષ મૂકાશે.
ટિકિટ વાંચ્છુકો આ તારીખ સુધીમાં કરી શકશે દાવેદારી
વધુમાં ઠાકોરે કહ્યું કે, '12 સપ્ટેમ્બર સુધી ટિકિટ વાચ્છુકો દાવેદારી કરી શકશે. જિલ્લા કોંગ્રેસ કમિટીએ બાયોડેટા 15 તારીખ સુધીમાં પ્રદેશ કાર્યાલયે પહોંચાડવાના હશે. આગામી 21, 22 અને 23 સપ્ટેમ્બર ઇલેક્શન કમિટી બેઠક મળશે. દાવેદારોને સાંભળવામાં આવશે અને દાવેદારોની પેનલ બનાવી સ્ક્રિનીગ કમિટી સમક્ષ રજૂ કરાશે.'
નવા યુવા ચહેરાઓને પણ અપાશે ટિકિટઃ જગદીશ ઠાકોર
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, 'ઉમેદવારની પસંદગી માટે કોઇ માપદંડ નહી, માત્ર જીતનો માપદંડ રહેશે. નવા યુવા ચહેરાઓને પણ ટિકિટ આપવામાં આવશે. 17 ની ચૂંટણીના જાણકાર લોકો અમને મળ્યા છે. યુવાન અને મહિલાઓ તેમજ વ્યક્તિ વિશેષને પણ ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસ મોટાભાગે લોકશાહીને માનવાવાળો પક્ષ છે. તેથી 182 વિધાનસભામાં જે કોઈ ઉમેદવારી કરવા ઈચ્છતા હશે, તે બધાને ટિકિટ માંગવાનો રાઈટ્સ હશે. એવા ઉમેદવારોના જે કોઈ બાયોડેટા આવશે તેના પર ગુજરાત ચૂંટણી સમિતિ અને સ્ક્રીનિંગ કમિટી ચર્ચા વિચારણા કરશે. હાલના ધારાસભ્યો છે, તેમણે કોઈ બાયોડેટા આપવાનો રહેશે નહીં. કારણ કે તેઓ ધારાસભ્યો છે એટલે ટિકિટની માંગણીમાં તેમનો સમાવેશ છે એ ગણતરી સાથે કામ ચાલશે.'