ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચાર; જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયા છે. નરોડા હત્યાકાંડમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને આજે યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થશે.
જમ્મુ કાશ્મીરના પૂંછમાં એક મોટો આતંકી હુમલો થયો છે. પૂંછમાં નેશનલ હાઈવે પર PAFF નામના આતંકવાદી સંગઠને સેનાની ટ્રક પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. ગ્રેનેડ ફેંકાતા સેનાની ગાડીમાં ભયાનક આગ લાગી હતી જેમાં પાંચ જવાન શહીદ થયાં હતા.
ગોધરાકાંડ બાદ નરોડા ગામમાં 11 વ્યક્તિઓની હત્યા થઈ હતી. જે હત્યા કેસમાં માયાબેન કોડનાની, જયદીપ પટેલ સહિત 86 લોકો સામે કેસ નોંધાયો હતો. ત્યારે આજે સ્પેશ્યલ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસનાં સ્પેશ્યલ જજ એસ બક્ષીએ ચુકાદો સંભળાવ્યો. ચુકાદો આવતા જ આરોપીઓ હર્ષનાં આંસુ સાથે કોર્ટ સંકુલ બહાર નીકળ્યા હતા. 21 વર્ષ બાદ આજે સ્પેશ્યલ કોર્ટે ચુકાદો આપ્યો. સ્પેશ્યલ કોર્ટમાં 7 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો. ત્યારે ફરિયાદીનાં વકીલે કહ્યું હતું કે તેઓ સ્પેશ્યલ કોર્ટનાં ચુકાદાથી સંતૃષ્ટ નથી. તેમજ તેઓ હાઈકોર્ટમાં જશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'મોદી સરનેમ' કેસમાં ગુરુવારે સેશન્સ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. આજે સુરતની નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાની માંગ કરતી રાહુલ ગાંધીની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. રાહુલે પોતાની અરજીમાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી બે વર્ષની સજા પર રોક લગાવવાની માંગ કરી હતી. હવે રાહુલ ગાંધીની સજા અકબંધ રહેશે. આ સાથે તેમના પર જેલની તલવાર પણ લટકવા લાગી છે.
ભાવનગર ડમીકાંડ મામલો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે ધો. 12 માં ડમી તરીકે બેસનાર 2 નામ મારી પાસે છે. જેમાં ઋષિ બારૈયાએ ડમી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી હતી. પી.કે. ના કહેવાથી ઋષિ બારૈયાએ ડમી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી હતી. તેમજ દર્શન બારૈયાએ અન્ય વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપી હતી. દર્શન બારૈયા કોની પરીક્ષા આપવા જતો હતો એની અમે પુષ્ટિ કરતા નથી. ત્યારે આજે યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થશે.
અરવલ્લીના મોડાસામાં ફટાકડાના ગોડાઉનમાં આગને કારણે મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં આગની ઝપેટમાં આવેલા 4 શ્રમિકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યાનું સામે આવતા અરેરાટી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં લલિત, અજય, રામભાઈ, સાજન નામના શ્રમિકોના મૃત્યુ નિપજયા છે. તેમજ કરોડોનું નુકશાન પણ થવા પામ્યું છે.
જામનગરમાં આજે ગોઝારો અકસ્માત સર્જાતા રહી ગયો છે. જેમાં જામનગરમાં ચાલુ ST બસમાંથી 2 વિદ્યાર્થી નીચે પટકાયા હતા. ત્યારે અચાનક બસનો કાચ તૂટી જતા 2 વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા તેનાં CCTV પણ સામે આવ્યા છે. ત્યારે સીસીટીવીમાં સ્પષ્ટ બસની પાછળનો કાચ તૂટતો જોવા મળ્યો છે. રોડ પર સ્પીડ બ્રેકર આવવા સમયે બસનો કાચ તૂટ્યો હતો. આ ઘટનાં ધ્રોલ- જોડિયા- જામનગર રૂટની બસમાં બની હતી. ત્યારે આ ઘટના બાદ બસનાં કંડક્ટરને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈને 7 મેના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે ડમી ઉમેદવારોને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ડમી ઉમેદવાર માટે બોર્ડને કોઈ પણ માહિતી આવશે તો પગલાં ભરવામાં આવશે. જો કે તે ઉમેદવારની સંપૂર્ણ ઓળખ આપવી પડશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં હસમુખ પટેલે કહ્યું કે, જેણે સંમતિ પત્ર ભર્યુ હશે તે જ પરીક્ષા આપી શકશે. ત્યારે હવે પરીક્ષા માટે સંમતિ પત્ર ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કુલ 8 લાખ 65 હજાર વિદ્યાર્થીઓએ સંમતિ પત્ર ભર્યું છે. સંમતિ પત્ર ભરનાર પરીક્ષાર્થી જ કોલલેટર ડાઉનલોડ કરી શકશે. આગામી સપ્તાહમાં કોલ લેટર ઉમેદવારો માટે ડાઉનલોડ થઈ શકશે.
ગુજરાતમાં કોરોના વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રોજ 300ની આસપાસ કેસ આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 331 પોઝીટિવ કેસ નોંધાયા છે.
ગૃહ મંત્રાલયની પહેલ પર વર્ષોથી ચાલી રહેલ અરુણાચલ પ્રદેશ અને આસામ સરહદ વિવાદનો આખરે અંત આવ્યો છે. બંને રાજ્યોની સરહદ પર આવેલા 123 ગામોનો વિવાદ દાયકાઓથી ચાલી રહ્યો હતો. આ દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં, બંને રાજ્યો વતી એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે આ બેઠકમાં સામેલ થયા છે. તમને જણાવી દઈએ કે આ બંને રાજ્યો વચ્ચે 123 ગામોને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.
ભાવનગરના ડમીકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. છેલ્લા 10 દિવસથી ડમી ઉમેદવાર અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો ભાવનગરના ગામડાઓ ખૂંદી રહી છે. આ વચ્ચે એક મોટા અપડેટ આવ્યા છે. આ કાંડમાં સામેલ વધુ 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ રખડતા ઢોર માટેની નવી પોલિસીની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરને પરત મોકલી છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક પોલિસી તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ગત સેન્ડિંગ કમિટીમાં આ માટેની દરખાસ્ત લાવવામાં આવી હતી. જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવી ન હતી. પરિણામે તેની અમલવારી પર બ્રેક લાગી છે.જેથી તંત્રએ પાછીપાની કરી છે.
આબોહવા પરિવર્તનના કારણે ભારતમાં લૂ વધુને વધુ ખતરનાક બની રહી છે. દેશનો 90 ટકાથી વધુ અને સમગ્ર દિલ્હી હીટવેવની અસરના 'ડેન્જર ઝોન'માં છે. એક નવા અભ્યાસમાં આ બાબત સામે આવી છે. તમને જણાવી દઈએ કે, આ અભ્યાસ રામિત દેબનાથ અને તેમના સાથીઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કર્યો છે. અભ્યાસમાં જણાવાયું છે કે 'હીટવેવ'એ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને હાંસલ કરવાની દિશામાં ભારતની પ્રગતિમાં અગાઉના વિચાર કરતાં વધુ અવરોધો ઉભા કર્યા છે.
સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાની માંગ કરતી અરજીઓની સુનાવણી દરમિયાન ગુરુવારે એક રસપ્રદ ચર્ચા થઈ હતી. એટલું જ નહીં ચીફ જસ્ટિસે ચર્ચાની વચ્ચે પોતાના ડ્રાઇવરનો પણ ઉલ્લેખ કર્યો હતો. દેશના ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, દુનિયા બદલાઈ રહી છે. તેમણે પોતાના ડ્રાઈવરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "ચીન જેવા દેશોમાં વસ્તી વધારાની ગતિ ધીમી પડી રહી છે. આનું કારણ એ છે કે લોકો હવે વધારે બાળકો પેદા કરવા નથી માગતા. તેમણે કહ્યું કે તમારી આસપાસના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરો જે તમારા માટે કામ કરે છે.
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમારને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ગુનાની ગંભીરતા જોતા જામીન ન આપી શકાય. પૂર્વ મંત્રી સામે રાજસ્થાનના સિરોહી ખાતે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા આવી છે. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર તથા સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ સહિત કુલ 4 લોકો સામે રાજસ્થાનમાં સગીરા સાથે છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજસ્થાન પોલીસ ગજેન્દ્ર સિંહ પરમારની ધરપકડ કરી શકે છે.